ગુજરાતી સાહિત્ય જગતનો ઝળહળતો તારલો એટલે ખલીલ ધનતેજવી. આજે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી ત્યારે કેટલાય સાહિત્ય પ્રેમીઓની આંખો અશ્રુઓથી છલાકાઈ ઉઠી હતી.
વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. આ પંકતી છે ખલીલ ધનતેજવીની. જેમનું આજે નિધન થયુ છે.
ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતુ. તેઓ ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1935માં વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેમણે ફક્ત ધોરણ 4 સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. પણ સાહિત્ય જગતમાં તેઓ ઉમદા વ્યક્તિ તરીકે જાણીતા છે.
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.