બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાત યુનિવર્સિટીને મળશે નવા કુલપતિ? આજે પૂર્ણ થશે ડૉ નીરજા ગુપ્તાનો કાર્યકાળ
Last Updated: 03:21 PM, 30 June 2026
રાજ્યની સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ સંસ્થા ગુજરાત યુનિવર્સિટી, જ્યાં બે લાખથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને 235થી વધુ સંલગ્ન કોલેજ કાર્યરત છે, તેના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. નવા કાયમી કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી રાજ્ય સરકાર આગામી થોડા દિવસ માટે ઈન્ચાર્જ કુલપતિની નિમણૂક કરશે. ગાંધીનગરની સમર્પણ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આશિષ દવેનું નામ હાલમાં સૌથી આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જો કે ડૉ. નીરજા ગુપ્તાને પણ નવા કુલપતિની નિમણૂક સુધી યથાવત્ રાખવાનો વિકલ્પ સરકાર પાસે ખુલ્લો છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર કાયમી કુલપતિની પસંદગી થાય ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થા કરવા માગે છે. શૈક્ષણિક વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે જો ઈન્ચાર્જ કુલપતિ તરીકે આશિષ દવેને જવાબદારી સોંપવામાં આવશે તો સર્ચ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાયમી કુલપતિ તરીકે પણ તેમના નામ પર અંતિમ મહોર લાગી શકે છે.
નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીએ અરજીઓ મગાવી છે અને ઉમેદવારોની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. કમિટી લાયક ઉમેદવારોની પેનલ સરકારને મોકલશે, ત્યાર બાદ રાજ્યપાલ નવા કુલપતિની સત્તાવાર નિમણૂક કરશે.
ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદને લઈને આ વખતે એક રસપ્રદ ચર્ચા પણ ચાલી રહી છે. હાલના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા હોય કે ઈન્ચાર્જ કુલપતિ માટે ચર્ચામાં રહેલા ડૉ આશિષ દવે બંનેનાં નામ આરએસએસનાં શૈક્ષણિક અને વૈચારિક વર્તુળો સાથે જોડાઈ રહ્યાં છે. ડૉ નીરજા ગુપ્તા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ભારતીય જ્ઞાન પરંપરાના પ્રબળ સમર્થક તરીકે જાણીતાં છે, જ્યારે ડૉ. આશિષ દવે લાંબા સમયથી સંઘ સાથે સંઘળાયેલાં શૈક્ષણિક વર્તુળોમાં સક્રિય હોવાનું માનવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત યુનિવર્સિટીમાં આવા વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવતા શિક્ષણવિદોને કુલપતિપદે પ્રાધાન્ય મળતું આવ્યું છે.
આ પણ વાંચો- સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, મોટા વરાછામાં 400 મીટર રોડ ધસી પડ્યો
ADVERTISEMENT
ડૉ નીરજા ગુપ્તાએ 1 જુલાઈ 2023ના રોજ ગુજરાત યુનિવર્સિટીના 17મા કુલપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને તેઓ યુનિવર્સિટીના ઈતિહાસના પ્રથમ મહિલા કુલપતિ બન્યાં હતાં. તેમણે બીજા કાર્યકાળ માટે પણ પ્રયાસો કર્યા હોવાનું કહેવાય છે, પરંતુ સરકારનાં કેટલાંક વર્તુળોમાં તેમના કાર્યકાળ અંગે અસંતોષ હોવાની ચર્ચાને કારણે તેમની પુનઃનિમણૂકની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.
બીજી તરફ, આશિષ દવે શિક્ષણક્ષેત્રે લાંબો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને એચ.કે. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ તેમજ ડીન રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની સમર્પણ કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમનું નામ ઈન્ચાર્જ કુલપતિ તરીકે સૌથી વધુ ચર્ચામાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.