ગુજરાતમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે ખાસ બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યમાં સરકારી કચેરીઓ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી કચેરીઓ શનિવાર અને રવિવારે બંધ રહેશે
15 મે સુધી કચેરીઓ શનિ-રવિ બંધ રહેશે
અન્ય દિવસોમાં 50 ટકા સ્ટાફ રાખવા આદેશ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં રાજ્યની સરકારી કચેરીઓમાં 15મી મે સુધી શનિવાર-રવિવાર દરમિયાન રજા રહેશે. કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
15 મી મે સુધી 50 % સ્ટાફ સાથે કામગીરીની આદેશ
આ સાથે જ કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના અન્ય એક નિર્ણય મુજબ રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી 50 % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.કોર કમિટિની બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણય મુજબ રાજ્યના ધારાસભ્યો તેઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.
ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે સહાય
નોવલ કોરોના વાયરસ સામેની રાજ્ય સરકારની લડતને વધુ મજબૂત કરવાના ઉમદા આશયથી ધારાસભ્યો 25 લાખ સુધીની રકમ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ- દવાખાના માટે અદ્યતન મેડિકલ ઉપકરણ - સાધનો વસાવવા માટે આપી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,327 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 180 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 9,544 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 180 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 180 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7010 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 572 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,37,794 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 511 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,19,22,841 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,19,22,841 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5258 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1836 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 356 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 639 કેસ, જ્યારે ગ્રામ્યમાં 221 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 607 કેસ અને ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા છે.