શિક્ષકો અને કર્મચારીઓને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે. શાળા કે વર્ગ બંધ થવાના કારણે કર્મચારીઓ નોકરી નહીં ગુમાવે. અનુદાનિત માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાના શિક્ષકોને રક્ષણ અપાશે. તો નવી નિમણૂક પામનારા શિક્ષકને લાભ મળશે. શાળા બદલવા માગતા હોય તેવા શિક્ષકો પણ આ જોગવાઇનો લાભ લઇ શકશે. ખાલી પડતી જગ્યાને નવેસરથી ભરવાને બદલે ફાજલ શિક્ષકને જવાબદારી સોંપી શકાશે. સરકારના નિર્ણયથી 70 હજાર જેટલાં શિક્ષક-કર્મચારીઓને આનો લાભ મળશે.
શાળા કે વર્ગ બંધ થવાના કારણે કર્મચારી નોકરી નહીં ગુમાવે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક-કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ વધુ એક શિક્ષકોના હિત માટે આ નિર્ણય લીધો છે.
શિક્ષણમંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોવાથી આ નિર્ણય કરાયો છે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોવાથી આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદર્ઢ બનશે.
શાળા બદલવા માગતા હોય તેવા શિક્ષકો પણ આ જોગવાઇનો લાભ લઇ શકશે
વધુમાં કહ્યું હતું કે, આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે. હાલ ફરજ બજાવતા શિક્ષકો માટે જુના શિક્ષકોની ભરતી અંગેની જોગવાઇ હોવાથી જે શિક્ષકો શાળા બદલવા માંગતા હોય તેઓ આ જોગવાઇનો લાભ લઈ પોતાની ઇચ્છિત શાળામાં જઈ શકશે. આથી, બદલીના વિકલ્પ તરીકે દુરના સ્થળથી નજીક/ઇચ્છિત જગ્યાએ નિમણુક મેળવવા કાયમી રક્ષણનો દુરઉપયોગ કરવામાં આવશે નહીં.