બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:27 PM, 19 December 2025
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) પૂર્ણ થયા બાદ રાજ્યની નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ વિશાળ અભિયાન પછી ગુજરાતમાં હવે કુલ 4 કરોડ 34 લાખથી વધુ મતદાતાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ પ્રક્રિયા 27 ઑક્ટોબર 2025થી શરૂ થઈ હતી અને લગભગ દોઢ મહિના સુધી રાજ્યભરમાં સતત ચાલી હતી, જેમાં વહીવટી તંત્રથી લઈને ગ્રાસરૂટ લેવલ સુધીના હજારો કર્મચારીઓ જોડાયા હતા.
ADVERTISEMENT

મુખ્ય ચૂંટણી અધિકારી હરીત શુક્લાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં અગાઉ નોંધાયેલા અંદાજે 5.08 કરોડ મતદાતાઓમાંથી 4.34 કરોડ મતદાતાઓના ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા હતા. આ તમામ ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે જેથી મતદાર યાદી વધુ પારદર્શક, ચોક્કસ અને અપડેટ બની શકે. આ અભિયાન દરમિયાન મતદાર યાદીમાં રહેલી ભૂલો, ડુપ્લિકેશન અને અયોગ્ય નોંધણીઓ દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

SIR અભિયાનમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 182 મતદાર નોંધણી અધિકારીઓ, 50 હજારથી વધુ બૂથ લેવલ ઓફિસરો (BLO) અને 30 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. ગામડાંથી લઈને શહેરોના દરેક મતદાન કેન્દ્ર સુધી જઈને મતદાતાઓની વિગતો ચકાસવામાં આવી, જેના કારણે મતદાર યાદી વધુ વિશ્વસનીય બની છે. ચૂંટણી પંચ દ્વારા આ અભિયાનને ફિલ્ડ લેવલ પરનું સૌથી વિશાળ લોકશાહી અભિયાન તરીકે પણ ઓળખાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT

આ વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા દરમિયાન કુલ 73 લાખ 73 હજારથી વધુ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમાં 18 લાખથી વધુ મૃત્યુ પામેલા મતદાતાઓ, આશરે 40 લાખ સ્થાયી રીતે અન્ય સ્થળે સ્થળાંતર કરેલા મતદાતાઓ અને લગભગ 3.8 લાખ ડુપ્લિકેટ નોંધણી ધરાવતા મતદાતાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવા માટે જરૂરી હતું.
ADVERTISEMENT
નવી મતદાર યાદી રાજ્યના તમામ મતદાન કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, નાગરિકો મુખ્ય ચૂંટણી અધિકારીની અધિકૃત વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર પણ પોતાની વિગતો જોઈ શકે છે. ચૂંટણી તંત્રે મતદાતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાની વિગતો ચકાસી લે અને જો કોઈ ભૂલ હોય તો સમયસર રજૂઆત કરે.

ADVERTISEMENT
મતદાતાઓ હવે 18 જાન્યુઆરી 2026 સુધી પોતાના નામ, સરનામું કે અન્ય વિગતો અંગે દાવો અથવા આપત્તિ રજૂ કરી શકે છે. આ તમામ દાવાઓ અને આપત્તિઓનો નિકાલ 10 ફેબ્રુઆરી 2026 સુધી કરવામાં આવશે. ચૂંટણી પંચે યુવા મતદાતાઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. જે યુવાનો 1 જાન્યુઆરી 2026 સુધી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે, તેઓ ફોર્મ નંબર 6 ભરીને અંતિમ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે.
આ પણ વાંચોઃ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મોટા સમાચાર, હવે કયા મુદ્દે કવાયત તેજ
ADVERTISEMENT
અંતિમ મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. રાજ્યના ચૂંટણી અધિકારીઓનું માનવું છે કે આ SIR અભિયાન પછી ગુજરાતની મતદાર યાદી વધુ સ્વચ્છ, ચોક્કસ અને વિશ્વસનીય બની છે, જે આગામી ચૂંટણીઓ માટે મજબૂત લોકશાહી આધાર પૂરું પાડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.