બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શનની તપાસ તેજ
Last Updated: 09:37 AM, 14 July 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગુજરાત ATS દ્વારા રાજ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ સમગ્ર મામલામાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત કનેક્શન સહિત વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશનને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ગુજરાત ATSએ ગત 13મી તારીખે સિદ્ધપુર શહેરના વ્યસ્ત ઝાંપલીપોળ વિસ્તારમાં ગુપ્ત અને મોટા પાયે તપાસ હાથ ધરી હતી. ATSની ટીમે મોડી સાંજ સુધી એક કટલરી વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા આ દુકાનમાંથી નાના રમકડાંમાં ઉપયોગમાં લેવાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હતી. આ માહિતીના આધારે ATSએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
તપાસ દરમિયાન ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી 'નૂરાની ટેલર્સ' નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરવામાં આવ્યો હતો. ATSની ટીમ આ વ્યક્તિને વધુ પૂછપરછ અને તપાસ માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આજે સિદ્ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મદદથી વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ATSના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રથયાત્રા જેવા મોટા ધાર્મિક તહેવાર દરમિયાન કોઈ પણ વિઘ્ન ના આવે તેનો પ્રયાસ અને આતંકી સંગઠનને ફરી સક્રિય કરવાના સંભવિત ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ થયેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, તેમાં સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો હતો. હવે સિદ્ધપુરમાંથી વધુ 5 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
તપાસ દરમિયાન ATSને એવા કેટલાક પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે કે આતંકી પ્રવૃત્તિઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોઈ શકે છે. જેના આધારે ATSની વિવિધ ટીમોએ બપોરથી જ સિદ્ધપુરમાં સઘન તપાસ શરૂ કરી હતી. આ મેગા ઓપરેશન દરમિયાન સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
તપાસ એજન્સીઓ હવે મોહમદ અમીન શેરા દ્વારા સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલા શંકાસ્પદ સામાનના સગડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ઝાંપલીપોળ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વેપારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન અને પૂછપરછના આધારે ATS સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હાલ તપાસ ચાલુ છે અને અધિકારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં આ સમગ્ર કેસમાં વધુ મહત્વના ખુલાસા સામે આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.