ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી તારીખો જાહેર કરાઇ છે.
બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 28 માર્ચથી શરૂ થશે
10 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી પ્રલિમિનરી પરીક્ષા લેવાશે
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરી નાખ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રીલ સુધી લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21 એપ્રિલથી 30 એપ્રીલ સુધી લેવાશે. તો વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 2 માર્ચથી 12 માર્ચ સુધી લેવાશે. જ્યારે ઉનાળુ વેકેશન 9 મેથી 12 જુન સુધી રહેશે. 2022-23નું નવુ શૈક્ષણિક વર્ષ 13 જુનથી શરૂ થશે. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો છે.
બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે વિગતવાર માહિતી
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં, શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા/પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવેલું છે?
શૈક્ષણિક વર્ષ-2021-22 માં કોવીડ-19 ની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અન્વયે તા.15/07/2021 થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત, ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા/પ્રિલીમ પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્વયે ઉનાળું વેકેશન અને નવું શૈક્ષણિક સત્ર-2022 શરૂ થવાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.
ગુજરાત સરકાર દ્વારા ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓના વ્યાપક શૈક્ષણિક હિતમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે અને તેઓની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે તે હેતુથી અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-9 થી 12ની વિવિધ પરીક્ષાઓની તારીખોમાં તેમજ ઉનાળું વેકેશન અને નવા શૈક્ષણિક વર્ષ-2022-23 શરૂ થવાની તારીખોમાં નીચે મુજબનો સુધારો કરવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલ છે.
નવું શૈક્ષણિક વર્ષ-2022-23
ગુજરાત સરકારના ઉક્ત વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ-9 થી 12ના અંદાજીત 32 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશે તેમજ પરીક્ષામાં સારો દેખાવ કરીને પોતાની પસંદગી મુજબના આગળના ઉચ્ચ અભ્યાસમાં જોડાઈ શકશે. આમ, ગુજરાત સરકારના ઉક્ત નિર્ણયથી વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પુરતી તૈયારી કરવાની વિશાળ તકો ઉપલબ્ધ થશે તેમજ તેઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકશે.