કોરોનાના કપરાકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે.
ખેડૂત પાક ધિરાણ 30 જૂન સુધી લંબાવાયું
કોરોનાને કારણે રાજ્ય સરકારે લીધો નિર્ણય
મોડી ચૂંકવણીનો 16.30 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત તા. ૩૦ જૂન સુધી લંબાવીને રાજ્યના ધરતીપુત્રોને મોટી આર્થિક રાહત આપતો સંવેદનશીલ નિર્ણય વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજયનો મોટો નિર્ણય
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એવો નિર્ણય પણ કર્યો છે કે સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટે રાજ્ય સરકારના ૪ ટકા તેમજ ભારતના ૩ ટકા મળી કુલ ૭ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે આ કિસાન હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. ૧૬.૩૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
કૃષિ કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું કે....
રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા આ અંગે ની યાદીમાં વધુમાં જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ, ધિરાણ સંસ્થાઓ મારફત ૭ ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને ૩ ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જયારે ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.
કોરોનાને ધ્યાને લેતા સરકારે લીધો ખેડૂતો માટે નિર્ણય
Covid-19ના સેકન્ડ વેવમાં પણ માર્ચ-ર૦ર૧થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે. જેના પરિણામે ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા તા. ૩૧-૦૩-ર૦ર૧ સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ સંજોગોમાં તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીનું સહકારી ધિરાણ માળખા મારફત પાક ધિરાણ લીધેલું હોય તેવા ખેડૂતો દ્વારા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવા અંગે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
શું કરી જાહેરાત ?
આના પરિણામે જે ખેડૂતો દ્વારા સહકારી ધિરાણ માળખા મારફત તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીમાં પાક ધિરાણ લીધેલ હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવામાં આવી છે. તા. ૦૧-૦૪-ર૦ર૧ થી તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા સહકારી ધિરાણ માળખાના ખેડૂતોને ભારત સરકાર દ્વારા મળતી ૩ ટકા વ્યાજ રાહતની રકમ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે