ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવાને લઈને પણ મંથન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં સ્કૂલ શરૂ થવા મુદ્દે શિક્ષણમંત્રીનુ નિવેદન
હજી સ્કૂલ શરૂ કરવા માટે થોડી રાહ જોવી પડશે
વાલીઓ ઈચ્છે છે કે વર્ગ 1 થી 5 વર્ગ શરૂ થાય
કેબિનેટ બેઠક પૂર્ણ થયાં બાદ શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વાલીઓ ઈચ્છી રહ્યા છે કે, ગુજરાતમાં હવે ધોરણ 1થી 5 ક્લાસરૂમ શરૂ થાય પરંતુ વાલીઓએ હજી શાળાઓ શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે.
આગામી સમયમાં લેવાશે નિર્ણય
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. બાળકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી રહી છે. જો કે, શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલા એક કમિટી બનાવવામાં આવશે અને આગામી સમયમાં કોરોનાની સ્થિતિ જોયા બાદ નિર્ણય લેવામાં આવશે.
અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન
કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.
5 નવેમ્બરના રોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા હતા સંકેત
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.