આપણાં આરોગ્ય પર આપણા ખાન-પાનની ટેવની સીધી અને બહુ ગાઢ અસર હોય છે.તેથી તેના પર દુનિયાભરમાં ઢગલાબંધ સંશોધનો પણ થાય છે. અમેરિકાની એડિથ કોવન યુનિવર્સિટીના એક નવા સંશોધન મુજબ સફરજન અને ગ્રીન ટી જેવા ફલેવોનોઇડ ધરાવતી ચીજો કેન્સર, ડાયાબિટિશ અને હાર્ટ ડિસીઝ સામે રક્ષણ આપે છે. ખાસ કરીને દારુ અને સિગારેટનું વ્યસન હોય તેવા લોકોએ ફલેવોનોઇડયુકત ખોરાક વધુ લેવો જોઇએ.
નેચર કમ્યુનિકેશન્સ જર્નલમાં પબ્લિશ સંશોધન મુજબ જે લોકો ફલેવોનોઇડવાળો (Flavonoids rich foods) શાકાહારી ખોરાક લે છે તેમને કેન્સર અને હાર્ટ ડિસીઝનો ખતરો બહુ ઓછો હોય છે.સંશોધક ડો.નિકોલા બોન્ડોનો કહે છે કે આવો ખોરાક લેતા લોકોનું ગંભીર બિમારીથી મૃત્યુ થતું નથી. સૌથી મહત્વની બાબત એ છે કે સિગારેટ અને દારૂનાં વ્યસનીઓને ફલેવોનોઇડયુકત ખોરાક ગંભીર બિમારી સામે રક્ષણ આપી શકે છે.
સંશોધકોએ આ માટે 53 હજાર જેટલા લોકોના ખાનપાનની આદતો તથા તેમને થયેલી બિમારીઓનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું હતું. વારસાગત એટેલ કે જીનેટીકસનાં કારણે થતી બિમારીને પણ આપણી આદતો ઘણાખરા અંશે ટાળી શકે છે. સંશોધકોએ જોયું કે જેઓ ફ્લેવોનોઇડયુકત આહાર વધુ લેનારા લોકોમાં કેન્સર અને હાર્ટની બિમારીનું પ્રમાણ સાવ ઓછું હતું.
ફ્લેવનોઇડ વિવિધ વનસ્પતિમાં જોવા મળતા કેમિકલ્સ છે.ફળ,શાકભાજી,અનાજ,ગ્રીન ટી વગેરેમાં તે સારી માત્રામાં હોય છે. ફલેવનોઇડ આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે પરંતુ તે કઇ રીતે શરીરને ગંભીર બિમારીઓથી બચાવે છે તેના પર હજુ ઉંડાણપુર્વકનાં સંશોધન થવાના બાકી છે. હેલ્ધી રહેવા માટે દરરોજનાં ખોરાકમાં ફલેવનોઇડની કેટલી માત્રા હોવી જોઇએ તે હજુ સ્પષ્ટ નથી. સંશોધકો કહે છે કે આવા સંજોગોમાં દરેક વ્યકિતએ રોજિંદા ખોરાકમાં શાકભાજી અને ફળ વધારે ખાવા જોઇએ.