ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં હેલ્મેટ નહિ પહેરવા કે સીટ બેલ્ટ નહીં બાંધવા કે રોંગસાઇડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના અનેક પ્રકારના નિયમોનો ભંગ કરનારાઓને ચોક્કસ સમયમાં ઇ-મેમો નહીં મળતાં હોવાની ફરિયાદો વધી રહી છે.
હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલક સામે પ્રથમ વખત ઈ-ચલણ જનરેટ થાય ત્યારે તે વ્યક્તિએ રૂ.૧૦૦નો દંડ ભરવાનો રહે છે અને બીજી વાર એ જ નિયમનો ભંગ કરનારને રૂ.૩૦૦ દંડ ભરવો પડે છે. ઈ-મેમો જનરેટ થયા પછી પોલીસ મારફત વાહન માલિકને એ ચલણ પ્રાપ્ત થાય છે.
પરંતુ પોલીસ અને પોસ્ટ ઓફિસ વચ્ચેના સંકલનના અભાવે લોકોને નિયમ ભંગ ના દસ-બાર દિવસ પછી ઇ-ચલણ મળે છે ત્યાં સુધીમાં વાહન ચાલકે એક થી વધુ વખત એ જ નિયમનો ભંગ કરી દીધો હોવાનું પણ રૂ.૧૦૦ અને રૂ.૩૦૦ દંડનાં ચલણ તેમને એક સાથે મળી જાય છે. આ પદ્ધતિના કારણે લોકોમાં નારાજગી વધી છે.
હવે આ પરિસ્થિતિને નિવારવા માટે ટ્રાફિક પોલીસે ખાસ વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવેથી ઈ-મેમો જનરેટ થતાંની સાથે જ વાહન માલિકને તેના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ મળી જશે. આ સિસ્ટમનો આગામી ટૂંક સમયમાં અમલ પણ શરૂ થઈ જશે.
હાઇવે સહિત શહેરભરના ટ્રાફિક સિગ્નલ પર આઈ વે પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા વાહનચાલકો પર વોચ કરી રહ્યા છે. હેલ્મેટ નહિ પહેરવા કે સીટ બેલ્ટ નહીં બાંધવો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી એ સહિતના અનેક પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને કેમેરામાં કેદ કરી અને તેમની સામે ઈ-ચલણ જનરેટ કરવામાં આવે છે.
હવેથી વાહન વાહનચાલકે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે તે બાબતે તેને મોબાઈલ મેસેજ દ્વારા પણ તરત જ જાણ થઈ જાય તે માટે સોફ્ટવેર હવે અપડેટ કરવામાં આવી રહ્યાં છે. તે મુજબ હવે બહુ જ ટૂંક સમયમાં જ્યારે કોઇ વાહનચાલક સામે ઇ-મેમો જનરેટ થશે ત્યારે તે સાથે જ વાહન માલિકના મોબાઈલ નંબર ઉપર મેસેજ આવી જશે. આ માટે આ માટે અમદાવાદ આરટીઓ પાસેથી રાજ્યનાં તમામ રજીસ્ટર્ડ વાહનમાલિકોને મોબાઈલ નંબર સહિતની યાદી મેળવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.