થોડા દિવસ અગાઉ શાળાની ફી ઘટાડવાને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. જોકે હાઈકોર્ટમાં શાળા સંચાલકોએ ફીક્સ ફી ઘટાડવાની તૈયારી બતાવી હતી. આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે, સરકાર નિર્ણય કરે કે શાળાઓ કેટલી ફી ઘટાડશે. તો ફી મુદ્દે શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, શિક્ષણ મંત્રી યોગ્ય બેઠક કરી યોગ્ય નિર્ણય કરશે.
શિક્ષણ મંત્રી યોગ્ય બેઠક કરી કરશે યોગ્ય નિર્ણયઃ નીતિન પટેલ
વાલી મંડળ સાથે બેઠક કરી લેવામાં આવશે નિર્ણયઃ નીતિન પટેલ
કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે સ્કૂલો બંધ છે. તો ઓનલાઇન એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સ્કૂલો દ્વારા ફી વસૂલ કરવામાં આવતા વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તો આ મામલે સરકાર હાઈકોર્ટ પહોંચી હતી. ત્યારે હાઇકોર્ટના નિર્દેશ બાદ શનિવારે સ્કૂલ ફી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. હાઈકોર્ટના ચુકાદા બાદ પ્રથમ વખત નીતિન પટેલે કહ્યું કે શિક્ષણ મંત્રી વાલી મંડળ અને જરૂર પડે તો મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરશે. સર્વસંમત્તિથી બધા સાથે મળી નિર્ણય કરવામાં આવશે. જો નિર્ણય કરવામાં નહીં આવે તો સરકાર યોગ્ય પગલા લઈ નિર્ણય કરશે.
રાજ્યના વાલીઓની ફી ઘટાડવા અને ફી માફીની માંગ
રાજ્યમાં વાલીઓએ ટ્રસ્ટ સંચાલિત શાળા સમક્ષ ફી માફીની માંગ કરી છે. વાલીઓ 50 ટકા ફી માફીની માંગ કરી રહ્યા છે. આ મામલે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવાની પણ તૈયારી દર્શાવી છે. કારણ કે, હાઈકોર્ટે ફી ઘટાડા મામલે સરકારને નિર્ણય કરવા જણાવ્યું છે. ત્યારે હવે વાલીઓ દ્વારા ફી ઘટાડવાની ઉગ્ર માગ કરી રહ્યા છે.
સરકાર નિર્ણય કરે કે શાળાઓ કેટલી ફી ઘટાડશેઃ હાઈકોર્ટ
ગુજરાત સરકારે કોરોના કાળને કારણે ફી ઘટાડાનો હાઈકોર્ટમાં પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે 18 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં શાળા સંચાલકોએ ફી ઘટાડવાની તૈયારી બતાવી હતી. શાળા સંચાલકો ફીક્સ ફીમાં ઘટાડો કરવા તૈયારી બતાવી હતી. જોકે કેટલી ફી ઘટાડાશે તે અંગે હજુ નિર્ણય કરવામાં નથી આવ્યો. તો આ દરમિયાન હાઈકોર્ટે ફી ઘટાડાને લઈને સરકારને સૂચન કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે, સરકાર નિર્ણય કરે કે શાળાઓ કેટલી ફી ઘટાડશે. સરકારે ફી ઘટાડવા માટે કોર્ટમાં અરજી કરવી પડે તે દુ:ખદ બાબત છે.
મહત્વનું છે કે, રાજ્ય સરકારે ખાનગી શાળા સંચાલકોને 25 ટકા ફી ઘટાડા માટે કહ્યું હતું. ત્યારે શાળા સંચાલકોએ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. શાળા સંચાલકો મનમાની કરી રહ્યા હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે.