ગુજરાતમાં ચૂંટણીઓ બાદ કોરોના ફેલાયો છે તે અંગે વારંવારની ટકોર બાદ પણ રાજકિય પક્ષો અટકવાનું નામ નથી લઈ રહ્યા અને મોરવા હડફમાં ભાજપની રેલી યોજાઈ હતી.
મોરવા હડફમાં ભાજપ દ્વારા ચૂંટણીપ્રચાર
કોરોનાના સંક્રમણની વચ્ચે ભાજપની બાઈક રેલી
કોરોનાની ગાઈડલાઈનની ઐસી તૈસી
એક તરફ રાજ્યભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર લોકોને સામાજિક અંતર જાળવવા અને રાત્રી કર્ફ્યૂનો અમલ કરવા માટે સલાહ આપી રહી છે. તેવામાં ભાજપના જ નેતાઓ નિયમોનો ભંગ કરી રહ્યા છે. સાથે જ હજારો લોકોના જીવને પણ જોખમમાં મુકી રહ્યા છે. કોરોનાના સંકટ વચ્ચે પણ મોરવા હડફમાં ભાજપ નેતાએ ચૂંટણી પ્રચાર કર્યો. બાઈક રેલી યોજી જેમાં હજારો લોકો જોડાયા.
હોસ્પિટલો બહાર લોકોની લાઈનો લાગી છે. લગ્નમાં માત્ર 50 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે તો ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચારમાં ભીડ એકઠી કરવાની મંજૂરી કોને આપી?. લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. તેવા સમયે પણ ભાજપ નેતાઓનો અંતરઆત્મા કેમ નથી જાગતો? રેલીની મંજૂરી ન આપવાનું વહીવટી તંત્રને ભાજપના નેતાઓની રેલીઓ કેમ નથી દેખાતી?
24 કલાકમાં કોરોનાના 6690 કેસ નોંધાયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6690 કેસ નોંધાયા છે અને 2748 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,0729 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 67 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4922 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 221 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 34,555 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2251 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1264 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 177 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 247 કેસ, જ્યારે ગ્રામ્યમાં 130 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 529 કેસ અને ગ્રામ્યમાં 87 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
સુરતમાં કોરોના કહેરમાં પરિસ્થિતિને પહોંચી વળવા તાબડતોબ કોવિડ સેન્ટર ઉભું કરાઈ રહ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે. મેડિકલ અને પેરા મેડિકલની ટીમ કાર્યરત રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ અને મનપા સાથે મળી કોવિડ કેર સેન્ટર ચલાવશે.
અમદાવાદમાં 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું થશે
આ સાથે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે કોવિડ કેર શરૂ થશે. 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર ઉભું કરાશે. કન્વેન્શન હોલ ખાતે કોવિડ કેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કન્વેન્શન હોલમાં બેડ મૂકીને તૈયારી શરૂ કરી દીધી છે. 900 બેડનું કોવિડ કેર ઉભુ કરવાની CM રૂપાણીએ જાહેરાત કરી હતી. CMના આદેશ બાદ તંત્ર દોડતું થયું છે.