ભાવનગરમાં કોરોનાકાળમાં ભાજપમાં આંતરિક ડખો જોવા મળી રહ્યો છે. ભાજપના 2 ધારાસભ્યો વચ્ચે ખેંચતાણ સામે આવી છે. લેપ્રસી હોસ્પિટલ શરૂ કરવાને લઈ ધારાસભ્યોની ખેંચતાણ જોવા મળી રહી છે.
ભાવનગર કોરોનાકાળમાં ભાજપમાં આંતરિક ડખો
ભાજપના 2 ધારાસભ્યો વચ્ચે ખેંચતાણ
લેપ્રસી હોસ્પિટલ શરૂ કરવાને લઈ ખેંચતાણ
હાલ મહામારીમાં લોકો મરી રહ્યા છે અને જનતાના સેવકો ભાન ભૂલી રહ્યા છે.
કોની કોની વચ્ચે થયો વિખવાદ
સેવાના કામને લઈ ભાજપના ધારાસભ્યો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. હોસ્પિટલ શરૂ કરાવવાનો જશ લેવા ધારાસભ્યોના પ્રયાસ કરી રહ્યા છે. મંત્રી વિભાવરીબેન દવે અને જીતુ વાઘાણી વચ્ચે ખેંચતાણની ઘટના થઈ હોવાની ચર્ચાઓ ઉઠી છે. વિભાવરીબેને હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અધિકારીઓને સાથે રાખી કામગીરી પર નજર રાખી હતી. બીજી તરફ જીતુ વાઘાણી અધિકારીઓ સાથે પહોંચ્યા હતા અને પોતાના પ્રયાસોથી હોસ્પિટલ શરૂ કર્યાના દાવા કર્યા હતા અને ફોટો સેશન કરાવી ધારાસભ્યો પ્રતિષ્ઠાનો જંગ લડી રહ્યાં છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માર્ચ મહિનાથી કેસ વધી રહ્યા છે ત્યારે આજે 14352 નવા કેસ સામે આવ્યા છે જયારે 24 જ કલાકમાં સરકારી આંકડા અનુસાર 170 લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત કહી શકાય કે રાજ્યમાં 24 કલાકમાં 7803 લોકો રિકવર પણ થયા છે.
કોરોનાની ગતિ ધીમી પડી!
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
ગુજરાતનો ચિતાર
રાજ્યમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે અત્યારે 127840 એક્ટિવ કેસ છે જ્યારે તેમાંથી 418 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે તથા અત્યાર સુધીમાં 6656 ગુજરાતીઓ કોરોના વાયરસનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ અને સુરતમાં કાળ કોરોનાએ લોકોના જીવ લીધા
કોરોના વાયરસના કારણે સૌથી વધારે તાંડવ અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે 5669 કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 1858 કેસ નોંધાયા છે અને 23 દર્દીઓના મોત થયા છે.