ગાંધીનગર કોર કમિટીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, માં અમૃતમ -વાત્સલ્ય કાર્ડથી ખાનગી હોસ્પિટલમાં પણ મળી શકશે લાભ. દરરોજના રૂ 5,000ની મર્યાદામાં દાખલ થયાના 10 દિવસ સુધી લાભાર્થીને લાભ મળશે. આ નિર્ણય 10 જુલાઇ સુધી લાગુ રહેશે.
ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિને લઈ અનેક મહત્વના નિર્ણયો કરાયા છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ગુજરાતના તમામ ધારાસભ્યોને તેમને મળતી સંપૂર્ણ ગ્રાન્ટનો ઉપયોગ કોરોનાની સામગ્રીઓ માટે કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાને ધારાસભ્ય તરીકે મળતી સંપૂર્ણ ગ્રાન્ટ કોરોનાની સારવાર પાછળ આપી દીધી છે. અન્ય ધારાસભ્યો પણ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે આ કામ કરી શકે છે.
સ્મશાનગૃહમાં કામ કરતા કર્મચારીઓને લઈને પણ લીધો મોટો નિર્ણય
CM રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કર્યો છે.
CM રૂપાણીએ સ્મશાનગૃહમાં કામ કરતા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો કર્યો નિર્ણય. આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.
કેબિનેટમાં તબીબી ટિચર્સ એસો.ની માગને લઈ ચર્ચા
તો કેબિનેટ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો ડૉક્ટર હડતાળનો ઉઠ્યો હતો. રાજ્યભરમાં તબીબી અધ્યાપકો દ્વારા વિરોધ કરાયો હતો. મેડિકલ ટીચર એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પડતર માંગણીઓને લઇ અનેક રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી. જેના કારમએ મુખ્યમંત્રીએ અગ્રસચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી. અને તબીબી અધ્યાપકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. પ્રદીપસિંહે કહ્યું કે, મુખ્યમંત્રીને પ્રશ્નો વિશે માહિતગાર કરવામાં આવ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું, તબીબો આંદોલન ન કરે
તબીબો કોરોના વોરિયસ કામગીરી કરી રહ્યા છે. અને એસો.ના પ્રશ્નોના સંબંધિત વિભાગે હકારાત્મક અભિગમ આપ્યો છે. તમામ ડોકટરને વિનંતી કે સરકાર હકારાત્મક છે. જેથી તબીબોએ આંદોલનના હથિયારનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને કોવિડમાં પોતાની સેવા ચાલુ રાખે. સોમવારે નિર્ણય કરવા અંગે વાત થઇ હતી. પરંતુ જરૂરી વિગતો એકત્ર કરવામાં વિલંબ થયો છે. ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તો સાથે પ્રદીપસિંહે કહ્યું કે, નર્સિંગ સ્ટાફની માગણીઓ પર વિચારણા ચાલી રહી છે. નર્સિંગ સ્ટાફની રજૂઆત મુદ્દે રિપોર્ટ સબમિટ કરાશે.