બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / જૂનાગઢ, માંગરોળ સહિત અનેક શહેરોમાં મેઘમહેર, રસ્તાઓ બન્યા જળબંબાકાર
6 ફોટો ગેલેરી
Last Updated: 10:01 PM, 4 July 2026
1/6
અમરેલી જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાઈટ હાઉસ વિસ્તારમાં તો દરિયાએ તોફાની રૂપ ધારણ કર્યુ. સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. જાફરાબાદના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે બઘડાટી બોલાવી.
2/6
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન સાથે ખેતીને પણ ભારે અસર પહોંચાડી છે. સિઝનના પ્રથમ જ ભારે વરસાદમાં અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તાલુકામાં અત્યાર સુધીમાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો દ્વારા આશરે 20 દિવસ અગાઉ કરવામાં આવેલી વાવણી વરસાદી પાણીમાં ડૂબી જતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. ખાસ કરીને ઘેડ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નદી અને વરસાદી પાણીના ભરાવાને કારણે ખેતરો જળમગ્ન બન્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે અને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
3/6
માંગરોળમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી તારાજીના પગલે સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગટીયા તાત્કાલિક સક્રિય બન્યા હતા. તેમણે નગરપાલિકા પ્રમુખ અને સ્થાનિક આગેવાનો સાથે મીઠીવાવ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓની રજૂઆતો સાંભળી વરસાદના કારણે થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી સરકાર સમક્ષ સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવશે, જેથી અસરગ્રસ્ત લોકોને વહેલી તકે યોગ્ય રાહત મળી શકે.
4/6
નવસારીમાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. શાંતાદેવી, વિઠ્ઠલ મંદિર વિસ્તાર, વિજલપોરના મંકોડિયા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને લઈને નવસારી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે પાણીના નિકાલ સાથે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
5/6
મહીસાગર જિલ્લામાં પાણી પુરવઠા યોજનાના હેડ વર્ક્સ ખાતે કમ્પાઉન્ડ વોલની કામગીરીને લઈને ઉઠેલા સવાલો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. VTV NEWSના અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે કમ્પાઉન્ડ વોલની ફરતે માટીનું પુરાણ કરવામાં આવ્યું. જોકે, આ કાર્યવાહી મૂળ ખામી દૂર કરવા માટે કરવામાં આવી કે પછી નબળી કામગીરીને ઢાંકવાનો પ્રયાસ હતો, તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
6/6
પોરબંદર જિલ્લામાં સતત ધોધમાર વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 12 ઇંચ વરસાદ નોંધાતા માધવપુર પાસે વહેતી મધવંતી નદી બેકાંઠે વહેવા લાગી છે અને નદીમાં નવા નીરની આવકથી જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યો છે. ભારે વરસાદના કારણે માધવપુરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક હોટલ અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ધંધાકીય પ્રવૃત્તિઓ પર અસર પડી છે. ઉપરાંત, પ્રસિદ્ધ માધવપુર મેળાનું ગ્રાઉન્ડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે, જ્યારે તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ