મહાનગરોમાં કોરોનાના કેસમાં તેજ ગતિથી વધારો થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ શાળાએ જતા ડરી રહ્યા છે તેવામાં હવે શાળા પરીક્ષા અંગે મોટો નિર્ણય લેવાયો નિર્ણય
ગુજરાતમાં કોરોના કેસમાં ઝડપી વધારો
કોરોના સંક્રમણને લઇ 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ
4 મહાનગરોમાં શાળા પરીક્ષા અંગે મોટા સમાચાર
રાજ્યમાં શાળાઓમાં પરીક્ષા આપવા મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ધો.9થી 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. આ સાથે પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે. 19 માર્ચથી 27 માર્ચ સુધીની પરીક્ષા યોજાશે.
કન્ટેઈન્ટમેંટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે અલગ નિયમ
આ સાથે કન્ટેઈન્ટમેંટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે અલગ નિયમ જાહેર કર્યા છે. જે વિદ્યાર્થીઓ કન્ટેઈન્ટમેંટ ઝોનમાં રહે છે. તેમને પાછળથી પરીક્ષા આપવી પડશે. કન્ટેઈન્ટમેંટ ઝોનમાં હોય તેવી શાળાઓમાં પાછળથી પરીક્ષાનું આયોજન કરાશે. fજો કે, એક તરફ વાલીઓ દ્વારા શાળા બંધ કરવાની રજૂઆત કરાઈ છે. તેવા સમયે સરકાર પરીક્ષાનું આયોજન કરી રહી છે. તો સરકારે એક કારણ આંતરિક મૂલ્યાંકનનું પણ દર્શાવ્યું છે. સરકારે કહ્યું કે, આંતરિક મૂલ્યાંકન જરૂરી છે
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે શૈક્ષણિક કાર્ય પર સૌથી મોટી અસર પડી હતી. જોકે કોરોનાનું સંક્રમણ ઘટતા તબક્કાવાર ફરી શાળા, કોલેજો અને ટ્યુશન ક્લાસીસ શરૂ થઇ રહ્યા હતા. જોકે કોરોનાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ ફરી ઓફલાઇન શિક્ષણ પર ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. જો કે, પરીક્ષા મામલે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે.
ગ્રેસીંગ માર્ક્સ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે કરી રજૂઆત
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગુજરાત વાલી મંડળ પણ હરકતમાં આવી ગયું છે. ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી 20 દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વાલી મંડળે શાળા બંધ રાખી માત્ર ફાઈનલ પરીક્ષા લેવા માટે માગ કરી હતી અને ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. આ સાથે સુરતમાં 192 વિદ્યાર્થીઓ તથા અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ગુજરાત વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અમદાવાદની સ્કૂલમાં અત્યાર સુધી એકપણ કોરોના ટેસ્ટ કરાયો નથી
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ અમદાવાદની સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગનું કોઇ આયોજન કરવામાં આવ્યું નથી. અત્યાર સુધી એકપણ સ્કૂલમાં કોરોના ટેસ્ટ કરાયો નથી. જોકે અમદાવાદ DEOએ દાવો કર્યો છે કે એકપણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નથી. ટેસ્ટિંગ વિના DEOના દાવાને લઇ સવાલો ઉભા થઇ રહ્યાં છે. શહેરમાં મોટા પ્રમાણમાં કેસ તો સ્કૂલમાં ટેસ્ટિંગ કેમ નહીં? ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિયેશને ટેસ્ટિંગ માટે માંગ કરી છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ હોય ત્યાં સુધી શાળા બંધ કરવા વાલીઓની માગ
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા હવે શાળાઓ પણ એલર્ટ થઇ ગઇ છે. કેસ વધતા વર્ગખંડમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઇને વ્યવસ્થા કરવામાં આવી છે. ટેમ્પરેચર ચેકિંગ અને સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. તો બીજી તરફ વાલીઓની ચિંતામાં વધારો થઈ ગયો છે. લાંબા સમય બાદ સરકાર દ્વારા કોરોના પર કાબુ આવતા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફરીથી એક વખત રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા કે નહીં તેને લઈને અસમંજસમાં છે. જો વાલીઓ બાળકોને શાળાએ ના મોકલે તો બાળકોનું ભણતર બગડે અને જો મોકલે તો બાળકોને કોરોના થાય તેનો ભય છે. આ મુદ્દે વીટીવી દ્વારા વાલીઓ સાથે વાત કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા આ મુદ્દે ફરીથી એક વખત ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા તથા આ વર્ષની ફી માફ કરવા અંગેની માગ કરવામાં આવી હતી.
સુરતમાં એક સપ્તાહ માટે ટ્યુશન ક્લાસીસ, શાળા અને કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ, માત્ર પરીક્ષા ઓફલાઇન
સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના નિર્ણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.