ગુજરાતી ફિલ્મોના મહાનાયક સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજૂક હતી. અને સતત વેન્ટિલેટર પર હતા. ત્યારે આજે ગુજરાતી ફિલ્મોના મહાનાયક જેમની મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી તેવા સુપરસ્ટાર નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા. રવિવારે નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે.
નરેશ કનોડિયોનો જન્મ 20 ઓગસ્ટ 1943માં થયો. અને તેઓએ 1970માં પહેલી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી કારકિર્દીની શરૂઆત કરી. મોટાભાઈ મહેશ કનોડિયા સાથે અનેક મ્યુઝીકલ કોન્સર્ટ કર્યા. 80ના દશકમાં ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં મ્યુઝીકલ કોન્સર્ટ દ્વારા ધૂમ મચાવી હતી. નરેશ કનોડિયાએ જોગ સંજોગ, લાજુ લખન, ઉંચી મેડીના ઉંચા મોલ, રાજ રાજવન, મન સાઈબાને મેળે, ઢોલા મારુ સુપરહિટ ફિલ્મો આપી છે. સ્નેહલતા, અરૂણા ઈરાની અને રોમા માણેક સાથેની ફિલ્મી જોડી પણ લોકોએ ખુબ પસંદ કરી. નરેશ કનોડિયાએ છોટા આદમી નામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું. અને દાદાસાહેબ ફાળકે અકાદમી એવોર્ડથી 2012માં નવાજવામાં આવ્યા હતા.