ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસો પછી ચીનના શાનક્સી પ્રાંતના ઝિઆન શહેરમાં સત્તાવાળાઓએ ઈમરજન્સી રિસ્પોન્સ પ્લાનની જાહેરાત કરી. આ અંતર્ગત જ્યારે ફ્લૂની સ્થિતિ ગંભીર હોય ત્યારે બજારો, શાળાઓ અને અન્ય ભીડવાળા વિસ્તારોને બંધ રાખવાનું કહેવામાં આવ્યું
કોરોના વાયરસને આટલો સમય થઈ ગયો હોવા છતા તેનો ડર હજુ પણ સતાવી રહ્યો છે. ચીનમાં કોરોનાના પગલે લોકોની હાલત કફોડી બની ગઈ છે. ચીનના એક શહેરમાં લોકડાઉનની સલાહ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડકી ઉઠ્યા છે. ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસો પછી ચીનના શાનક્સી પ્રાંતના ઝિઆન શહેરમાં સત્તાવાળાઓએ ઈમરજન્સી રિસ્પોન્સ પ્લાનની જાહેરાત કરી. આ અંતર્ગત જ્યારે ફ્લૂની સ્થિતિ ગંભીર હોય ત્યારે બજારો, શાળાઓ અને અન્ય ભીડવાળા વિસ્તારોને બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાનમાં ચાર લેવલ છે, જેમાં છેલ્લું લેવલ લોકડાઉન છે.
લોકડાઉનની આશંકા જોઈને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને સોશિયલ મીડિયા પર આ પ્લાનનો જોરદાર વિરોધ થયો. યુઝર્સનું કહેવું છે કે આ સ્કીમ દેશમાં કોરોના સમયગાળા દરમિયાન ત્રણ વર્ષ માટે લાગુ કરવામાં આવેલી ઝીરો-કોવિડ પોલિસી જેવી જ છે. ચીને તેની કઠોર કોવિડ-19 નીતિને કારણે સમગ્ર વિશ્વમાં ટીકાનો સામનો કરવો પડ્યો છે.
કોવિડ દરમિયાન શિઆનમાં કડક લોકડાઉન
એક રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 વચ્ચે કોરોનાના કારણે કડક પ્રતિબંધોને કારણે ઝિઆન શહેરના 30 લાખ લોકો અઠવાડિયા સુધી તેમના ઘરોમાં બંધ હતા. રિપોર્ટ અનુસાર ચીનમાં ફ્લૂના કેસમાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે દવાની દુકાનો પર જરૂરી દવાઓની અછત સર્જાઈ છે.
ભારતમાં પણ ફ્લૂના કેસમાં વધારો થયો
ચીનમાં ફ્લૂના કેસોમાં વધારો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતમાં પણ ઈન્ફલ્યુએન્ઝાના સબ-વેરિઅન્ટ H3N2ના કેસમાં વધારો જોવા મળ્યો છે. ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 જાન્યુઆરીથી 5 માર્ચની વચ્ચે દેશમાં H3N2 ના 451 કેસ નોંધાયા હતા, જેમાં સમાન સમયગાળા દરમિયાન બે દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. કર્ણાટકમાં એક 82 વર્ષીય વ્યક્તિનું સબ-વેરિયન્ટથી મૃત્યુ થયું છે. તેઓ ડાયાબિટીસથી પીડિત હતા. આ ઉપરાંત હરિયાણામાં ફેફસાના કેન્સરના 56 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું હતું.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે કેટલાક રાજ્યોમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં કોવિડ -19 પરીક્ષણ દરમિયાન હકારાત્મકતા દરમાં વધારો ચિંતાનો વિષય છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.