ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / AAP MLA ચૈતર વસાવાને હાઇકોર્ટ તરફથી મોટી રાહત, મળ્યા હંગામી જામીન, પરંતુ...!
Last Updated: 12:44 PM, 7 September 2026
ADVERTISEMENT
MLA ચૈતર વસાવાને હાઇકોર્ટે એક અઠવાડિયાના હંગામી જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી છૂટે ત્યારથી 7 દિવસ સુધી તેમને જામીનની રાહત મળશે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઉપસ્થિત રહેવા માટે ચૈતર વસાવાએ હંગામી જામીનની માંગ કરી હતી. હાલ તેઓ ફોરેસ્ટ કર્મચારીઓ ઉપર હુમલો કરવાના કેસમાં વડોદરાની જેલમાં સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં નર્મદા કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારી છે.
ADVERTISEMENT

ચૈતર વસાવાની હંગામી જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે વિધાનસભાનું સત્ર માત્ર 3 દિવસનું હોવાથી ચૈતર વસાવાને પણ માત્ર 3 દિવસના જ જામીન આપવામાં આવે. સાથે જ સરકારી વકીલે એવી શરત મૂકવાની માંગ કરી હતી કે તેઓ કોઈ પોલિટિકલ એક્ટિવિટીમાં જોડાય નહીં અને મીડિયાને પણ સંબોધન ન કરે.
ADVERTISEMENT
જોકે, હાઇકોર્ટે ચૈતર વસાવાને જેલમાંથી છૂટ્યા બાદ 7 દિવસ સુધી હંગામી જામીન આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ સમય દરમિયાન તેઓ ગાંધીનગર છોડી શકશે નહીં. આ ઉપરાંત તેઓ લોકોને સંબોધન કરી શકશે નહીં અને મીડિયાને પણ સંબોધન કરી શકશે નહીં. ખાસ કરીને મીડિયા ઇન્ટરવ્યૂ અંગે કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે ચૈતર વસાવાનો મીડિયા ઇન્ટરવ્યૂ થવો જોઈએ નહીં.
ADVERTISEMENT
સુનાવણી દરમિયાન ચૈતર વસાવાની અગાઉની અરજી અંગે ખોટું રિપોર્ટિંગ થયાની બાબતે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતર વસાવાના વકીલે કોર્ટની આ શરતોનું પાલન કરવાની બાહેંધરી આપી છે. આ દરમિયાન કોર્ટે સરકારના વલણ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એક તરફ રાજ્ય વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપે છે અને બીજી તરફ કોર્ટમાં હંગામી જામીનનો વિરોધ કરે છે, તો આવું બેવડું વલણ શા માટે? તેના જવાબમાં સરકારી વકીલે કહ્યું હતું કે સરકારને વિધાનસભાના નિયમો મુજબ આમંત્રણ આપવું પડે છે.
ADVERTISEMENT
આ પહેલાં 24 ઓગસ્ટે હાઇકોર્ટે નર્મદાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે અગાઉ જામીન શરતોના નિયમોનો ભંગ નહીં કરવાની શરતે તેમને છોડવામાં આવ્યા હતા, તેમ છતાં તેઓ ક્રાઇમમાં સંડોવાયા છે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે સામાન્ય લોકોમાં એવી ગેરસમજ ઊભી થાય છે કે સત્તામાં હોય તેવા લોકો છૂટી જાય છે. ચૈતર વસાવા સાથે તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર કરવાના મામલે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં IPCની કલમ 143, 141, 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એક્ટની કલમ 25 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ નર્મદા કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ 23 જૂન, 2026ના રોજ તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આમ, તેઓ સવા બે મહિનાથી જેલમાં બંધ છે.
ADVERTISEMENT
આ જ કેસમાં નર્મદા કોર્ટના ચુકાદા પહેલાંની જામીન અરજીઓ દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી. આ જગ્યાએ ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યું હતું. બાદમાં જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી ત્યાંનો સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી. આ મિટિંગમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થયા હતા અને તે સમયે વિવાદનો અંત આવ્યો હતો. જોકે, બાદમાં વનવિભાગના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. કેસમાં આરોપ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60 હજાર રૂપિયાનું વળતર માગ્યું હતું. તેમણે હાથપગ તોડી નાખવાની ધમકી આપી હતી અને ગાળો પણ આપી હતી. એટલું જ નહીં, ચૈતર વસાવાએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું અને ત્યારબાદ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાનો પણ આરોપ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય-આત્મહત્યા નિવારણ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપવામાં આવી હોવાના આરોપ બાદ કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી. દરમિયાન MLA ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા સહિત કેટલાક દોષિતોએ પણ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને લઈને હાઇકોર્ટે 22 જુલાઈ, 2026ના રોજ શકુંતલા વસાવા સહિત 5 દોષિતોને જામીન આપ્યા હતા. હવે ચૈતર વસાવાને પણ વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે જેલમાંથી છૂટ્યા બાદ 7 દિવસની હંગામી જામીનની રાહત મળી છે. જોકે, આ સમય દરમિયાન કોર્ટની તમામ શરતોનું પાલન કરવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ