ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલે આજે આંબેડકર જયંતિ નિમિત્તે ભીડ ભેગી કરી હતી અને પછી નિદવેદન બાદી શરૂ કરી હતી. સી.આર પાટીલ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સરકારનો લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા. મીડિયામાં મૃત્યના આંકડાઓ અંગે પણ તેમણે ગેરસમજ થઈ હોવાનો દાવો કર્યો હતો ત્યારે એ જાણવું જરૂરી બને છે કે, ભાઉએ શું નિવેદન આપ્યું અને વાસ્તવિકતા શું છે?
શું કહ્યુ C R પાટીલે?
રૂપાણી સરકાર આંકડા છુપાવતા નથી. કોરોનાથી મૃત્યુના આંકડા સાચા જ છે. પ્રોટોકોલ પ્રમાણે થતી અંતિમવિધિના આંકડા અલગ હોય છે. કોરોનાનાં મૃતદેહના આંકડામાં મીડિયામાં ગેરસમજ થઈ છે. ગુજરાતમાં પ્રથમવાર ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટર અપાયા છે. ડોકટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફને અભિનંદન આપવા ઘટને. રૂપાણી સરકાર ફેલ નથી,આ મહામારી છે ગુજરાત સરકાર પુરી તાકાત સાથે કામ કરી રહી છે.
ભાઉના નિદેવન સામે પ્રજાનો પ્રશ્ન
ભાઉ સ્મશાન ખોટુ બોલે?
108ની હોસ્પિટલો બહાર લાગેલી લાઈનો ખોટુ બોલે?
ઓક્સિજન અને વેન્ટિલેટર નથી મળી રહ્યા શું ખોટુ છે
હોસ્પિટલોમાં બેડ ફૂલ છે
નવા સ્મશાન ઉભા કરાઈ રહ્યા છે
ભાઈ આટલા ઈન્જેક્શનોની લાઈનો લાગી છે
હાઈકોર્ટમાં સુઓ મોટો થઈ છે, શું કોર્ટ પણ ખોટી?
24 કલાકમાં કોરોનાના 6690 કેસ નોંધાયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6690 કેસ નોંધાયા છે અને 2748 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,0729 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 67 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4922 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 221 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 34,555 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2251 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1264 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 177 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 247 કેસ, જ્યારે ગ્રામ્યમાં 130 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 529 કેસ અને ગ્રામ્યમાં 87 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત.
સુરત અમદાવાદ અને વડોદરામાં નવા સેન્ટર ઉભા થયા
સુરતમાં કોરોના કહેરમાં પરિસ્થિતિને પહોંચી વળવા તાબડતોબ કોવિડ સેન્ટર ઉભું કરાઈ રહ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે. મેડિકલ અને પેરા મેડિકલની ટીમ કાર્યરત રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ અને મનપા સાથે મળી કોવિડ કેર સેન્ટર ચલાવશે.
અમદાવાદમાં 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું થશે
આ સાથે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે કોવિડ કેર શરૂ થશે. 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર ઉભું કરાશે. કન્વેન્શન હોલ ખાતે કોવિડ કેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કન્વેન્શન હોલમાં બેડ મૂકીને તૈયારી શરૂ કરી દીધી છે. 900 બેડનું કોવિડ કેર ઉભુ કરવાની CM રૂપાણીએ જાહેરાત કરી હતી. CMના આદેશ બાદ તંત્ર દોડતું થયું છે.