બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જૂની ઓફિસ તોડીને હતો જીમ બનાવવાનો પ્લાન, પરંતુ AMCએ આ શું કરી નાખ્યું?
Last Updated: 01:44 PM, 19 August 2026
દરેક ચોમાસાની સિઝિનમાં અમદાવાદ ખાડાવાદ બની જાય છે. જ્યાં જોવો ત્યાં ખાડા જ ખાડા હોય છે. પણ આ વખતે ખાડાની સાથે અમદાવાદ દરિયો પણ બન્યું હતું. ખાસ કરીને શેલા, બોપલ જેવા વિસ્તારોમાં ભરાયેલા પાણીની સમસ્યા એવી થઈ કે ખુદ મુખ્યમંત્રીએ ત્યાં પહોંચવું પડ્યું. પણ હવે વરસાદ ભલે અટક્યો, પાણી ઉતર્યા, ત્યાર બાદ એક ચોંકાવનારી વાત સામે આવી છે. વરસાદી પાણી જાય એ માટે બોપલમાં એક જમીન તળાવ માટે અલોટ કરવામાં આવી હતી, જે રેકોર્ડમાંય હતી. પણ આ જમીન પર તો AMCની જ ઓફિસ બનેલી છે. મહેસૂલ રેકોર્ડ્સ અનુસાર પૂરના પાણીથી ઘેરાયેલી AMCની જૂની મ્યુનિસિપાલિટી ઓફિસ સત્તાવાર રીતે તળાવ તરીકે નોંધાયેલી જમીન પર આવેલી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ આખી વાતનો ખુલાસો ત્યારે થયો, જ્યારે AMCએ આ જમીન પર જિમ બનાવવાની યોજના કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોન એન્જિનિયરિંગ વિભાગે જર્જરિત ઓફિસને તોડી પાડીને તેની જગ્યાએ જિમ બનાવવાની યોજના તૈયાર કરી હતી. જોકે, કબજો લેતા પહેલાં કરવામાં આવેલી નિયમિત ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે જે પ્લોટ પર આ ઇમારત આવેલી છે તે મહેસૂલ રેકોર્ડમાં તળાવ તરીકે નોંધાયેલ છે. AMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ માહિતી સામે આવતા જ જિમ બનાવવાનો સમગ્ર પ્રોજેક્ટ હાલ માટે સ્થગિત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આખી ઘટનામાં જોરદાર વાત એ છે કે હવે એએમસીનું જિમ તો નહીં બને, અત્યારે છે એ ઓફિસ પણ તોડવી પડશે. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ તળાવની જમીન પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાય નહીં. આ નિયમ માત્ર ખાનગી બાંધકામ માટે જ નહીં પરંતુ સરકારી સંસ્થાઓ દ્વારા અગાઉ બનાવવામાં આવેલા માળખાઓ પર પણ લાગુ પડે છે. તેથી હવે AMCની પોતાની જૂની ઓફિસ પણ આ નિયમના દાયરામાં આવી ગઈ છે. સવાલ એ છે કે રેકોર્ડમાં આ જમીન તળાવ માટે ફાળવેલી હતી, તો અધિકારીઓ ક્યાં સુઈ ગયા હતા કે આ બિલ્ડિંગ બન્યું ને એમને ખબર જ ન પડી!
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં બોપલ વિસ્તાર AMCની હદમાં ભળ્યો હતો. તે પહેલાંના સમયમાં બનેલી આ ઇમારત હવે તળાવની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ તરીકે સામે આવી છે. હવે AMCની પોતાની ડિમોલિશન વિંગ દ્વારા આ ઇમારતને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ AMC હાલમાં ચંડોળા, ઇસનપુર અને વટવા વિસ્તારોમાં તળાવની જમીન પર થયેલા ખાનગી અતિક્રમણો સામે ડિમોલિશન ઝુંબેશ ચલાવી રહ્યું છે. બોપલનો આ કેસ દર્શાવે છે કે હવે સરકારી બાંધકામો સામે પણ સમાન ધોરણ અપનાવવામાં આવશે અને નિયમોનું પાલન કરાશે.
ADVERTISEMENT
આવો કિસ્સો માત્ર બોપલમાં નહી પરંતુ સૈજપુર વિસ્તારમાં સ્થાનિક નગરપાલિકાએ વર્ષ 1980ની આસપાસ તળાવની જમીન પર આશરે 40 દુકાનો બનાવી હતી અને વિસ્તાર AMCમાં ભળે તે પહેલાં તેને વેચી દીધી હતી. ટાઉન પ્લાનિંગના નકશામાં ત્યાં તળાવ દર્શાવવામાં આવ્યું છે, જ્યારે મહેસૂલ રેકોર્ડમાં તે સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલ છે. સત્તાવાર રેકોર્ડ અને જમીન પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો આ તફાવત હવે સતત સામે આવી રહ્યો છે.
ADVERTISEMENT
વર્ષ 2022માં AMCએ સમગ્ર શહેરનું સર્વેક્ષણ કરીને અંદાજે 142 જળાશયોની ઓળખ કરી હતી અને તેમના વિકાસ માટે અહેવાલ પણ તૈયાર કર્યો હતો. જોકે, જ્યારે AMCએ આ સ્થળોનો કબજો માંગ્યો ત્યારે કલેક્ટરે 26 દાવાઓ ફગાવી દીધા હતા. સર્વે સાથે જોડાયેલા AMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે આ 26 સર્વે નંબરો તળાવો નહોતા, પરંતુ તે જમીન પોલીસ ક્વાર્ટર્સ, BSNL, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, EVM ગોડાઉન અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવી હતી.
આ પણ વાંચો : સરકારી મંજૂરી વિના કોઈ ઉદ્યોગ હવે 12 કલાકની શિફ્ટ નહીં ચલાવી શકે!
હાલ પૂરતું બોપલમાં જિમ બનાવવાનો પ્રોજેક્ટ અટકાવી દેવામાં આવ્યો છે અને હવે તળાવની જમીન પર આવેલી જૂની AMC ઓફિસ તોડી પાડવાની તૈયારી ચાલી રહી છે. જોકે, આ ઇમારત દૂર કર્યા બાદ તળાવને ફરી તેના મૂળ સ્વરૂપમાં વિકસાવવામાં આવશે કે નહીં અને તેનાથી આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાં કેટલો ઘટાડો થશે, તે હજુ પણ મોટો સવાલ છે. આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટ યોજના જાહેર કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.