આજે વિધાનસભમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે. જેને લઈને લોકો મોટા ભાગના ક્ષેત્રમાં રાહતની ઝંખના રાખીને બેઠા છે.
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ થશે રજૂ
નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભામાં બીજી વખત બજેટ કરશે રજૂ
આ બજેટ ખેડૂત,યુવાનો અને મહિલાઓ માટે રહશે સારૂ : કનુ દેસાઇ
હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થવાનું હોવાથી લોકો આ બજેટ પર રાહતની મીટ માંડીને બેઠા છે. વિધાનસભા ચૂંટણીમાં જવલંત જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ રજૂ થશે. જ્યારે નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભામાં બીજી વખત બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ રજૂ થતા પહેલા આ મામલે નાણામંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
કનુ દેસાઇએ આ બજેટ ખેડૂત,યુવાનો અને મહિલાઓ માટે સારૂ રહેશે તેવો દાવો કર્યો છે. મહત્વનુ છે કે વર્ષ 2022-23નું બજેટ 668.9 કરોડની પુરાંતવાળુ હતુ. વર્ષ 2022-23માં બજેટનું કદ 2,43,965 કરોડનું હતું જ્યારે વર્ષ 2023-24નું બજેટ 2 લાખ 50 હજાર કરોડના આંકડાને વટાવી શકે તેવું જણાઈ રહ્યું છે. ચૂંટણીમા ભાજપની ઝળહળતી જીત થઈ છે જેને લઈને લોકોની પણ ખાસ આ બજેટમાં આશા વધી છે. વધુમાં મંદી, મોંઘવારી અને બેરોજગારી સહિતની સમસ્યાથી ઘેરાયેલા તમામ વર્ગના લોકો હાલ બજેટમા આશા જંખી રહ્યા છે ત્યારે આ મામલે સરકાર દ્વારા શુ રાહત આપવામાં આવે તે જોવું રહ્યું !
12 કલાકે પ્રશ્રોત્તરી સાથે શરૂ થશે
વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે વિધાનસભા ગૃહનું કામકાજ બપોરે 12 કલાકે પ્રશ્રોત્તરી સાથે શરૂ થશે. સવારે ૧૦ વાગ્યાથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. જેમાં
પ્રશ્નોત્તરી કાળથી સત્રનો પ્રારંભ થશે. જ્યારે શહેરી વિકાસ, ગૃહ, મહેસુલ, સહીતના મુખ્યમંત્રીના ખાતાઓ પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક, ગૃહ સહીતના ખાતાઓની પણ પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. ત્યારબાદ વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકવામા આવશે. જેમાં નાણા મંત્રી વધારાના ખર્ચ પત્રક અને ખર્ચના પૂરક પત્રકની રજૂ કરશે.
બજેટમાં કયા ક્ષેત્ર પર અપાશે ભાર?
ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓ તો બીજી તરફ કોરોના કાળમાં મંદીમાં આવી ગયેલા ઉદ્યોગકારોને રિઝવવા માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ફૂલગુલાબી વેરા વિનાનું પણ રાહતોથી ભરપૂર બજેટ ગુજરાત વાસીઓ માટે આવશે તેવા એંધાણ છે.
કેવું હશે આપણું 2023-24 નું બજેટ?
પેટ્રોલ-ડીઝલના વેટમાં ફેરફાર થશે?
શિક્ષણ,આરોગ્ય અને કૃષિક્ષેત્રમાં શું જાહેરાત થશે?
પોલીસ અને મહેસૂલ વિભાગ માટે શું જોગવાઇ થશે?
ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ
નાણામંત્રી કનુ દેસાઇ બીજી વખત રજૂ કરશે બજેટ
બજેટસત્રનો આજે બીજો દિવસ
રાહત મળશે કે બોજ વધશે?
પ્રથમ દિવસે પરીક્ષા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહમાં પ્રથમ દિવસે પરીક્ષા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિ સાથે મંજૂરી મળી ગઈ છે. ત્યારે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક બિલ ગૃહમાં મંજૂર થાય તે પહેલા તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે બિલમાં બોર્ડ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ કાયદા અંતર્ગત નહી આવે.આ બાબતે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આ બિલમાં કોઈપણ પ્રકારની ક્ષતિ, ભૂલ રહી ગઈ હોય તે સૂચન મોકલજો. તેમજ હું તમામ લોકોના સૂચન અને ટીકા સાંભળવા તૈયાર છું. ગુજરાતની સરકાર, વિપક્ષે મહદઅંશે તમામ કલમોનું સમર્થન કર્યું છે. વિપક્ષના સભ્યોએ મુદ્દો સૂચવ્યો તેને સરકારે ધ્યાને લીધો. તેમજ ધો.10-12 ના વિદ્યાર્થીઓ મુદ્દેના વિપક્ષના સૂચન પર તાત્કાલીક સુધારો કર્યો છે. વિપક્ષના સદસ્યોના તમામ પ્રશ્નનાં જવાબ આપવામાં આવ્યા છે.
આ કાયદો અસ્તિત્વમાં આવે પછી જ બીજી પરીક્ષાઓ લેવાશે: હર્ષ સંઘવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજની ક્ષણો વિધાનસભાની કામગીરી ઈતિહાસમાં લખાશે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા. ગુજરાતની ધરતી પર હવે કોઈ પરીક્ષાર્થી ભૂલ કરશે તો છટકબારી નહી મળે. કોઈએ શોર્ટ કટ પકડ્યો તો જીવનભર પરીક્ષા આપી નહી શકે. આ કાયદો અસ્તિત્વમાં આવે પછી જ બીજી પરીક્ષાઓ લેવાશે અને આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ થશે. આ કાયદા માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. બંધારણ પ્રમાણે જુના કેસોને આ કાયદા અંતર્ગત લાવી નહી શકાય. આવનારી પંચાયતની પરીક્ષા માટે હસમુખ પટેલને નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કોઈપણ વિદ્યાર્થી લેભાગુ શખ્સોનાં વિશ્વાસમાં ન આવે. આ કાયદામાં કોઈ છટકબારી રાખવામાં આવી નથી.
વિધેયક પસાર થાય તે પહેલા જ બદલાવ કરાયો
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક બિલ વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે વિધેયક પસાર થાય તે પહેલા જ બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં બિલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીનો પણ હવે વિધેયકમાં સમાવેશ કરાશે નહી. ત્યારે ગેરરીતીના કેસમાં બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય આખરી રહેશે. ત્યારે બોર્ડ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ કાયદા અંતર્ગત નહી આવે.
પરીક્ષા આપવા જાય પછી વિદ્યાર્થીઓને ખબર પડે કે પેપર ફૂટ્યું: અમિત ચાવડા
ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભા ગૃહમાં પરીક્ષા વિધેયક બિલ રજૂ કર્યું હતું. જે મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે 'દેર આયે દુરૂસ્ત આયે' વિદ્યાર્થી પરીક્ષા આપરા જાય ત્યારે ખબર પડે કે પેપર ફૂટ્યું છે. 27 વર્ષે મોડે મોડે ગુજરાત સરકારને ખબર પડી કે અહીં પેપર નહી યુવાનોનાં સપનાં અને આશાઓ ફૂટે છે. એક-બે નહી તેર-તેર વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર ફૂટ્યા બાદ નિર્ણય લેવાયો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ સરકાર જાગી છે.