ભારતમાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે, શું આ રોગચાળા વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020નું આયોજન કરવામાં આવશે? BCCIએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે, IPL 2020 ચાલુ રહેશે અને કોરોના વાયરસ સંબંધિત તમામ જરૂરી પગલા લેવામાં આવશે.
ગાંગુલીએ IPL સામે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
IPL2020 ચાલુ રહેશે-BCCIના પ્રમુખ
કોરોના વાયરસ સંબંધિત તમામ જરૂરી પગલા લેવામાં આવશે
BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે, IPL ટૂર્નામેન્ટની મેચ રમાશે. 29 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં આરોગ્ય અને કોરોાના વાયરસ ફેલાતા અટકાવવા માટે બોર્ડ દરેક જરૂરી પગલા લેવા તૈયાર છે. તેમને પૂછવામાં આવ્યું કે, બોર્ડ કોરોના વાયરસ સામે કેવી રીતે કાર્યવાહી કરવા તૈયાર છે અને શું IPLનું આયોજન કરવામાં આવશે? બોર્ડ અધ્યક્ષે કહ્યું, "IPLચાલુ છે."
આરોગ્ય મંત્રાલય દ્વારા મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોરોના વાયરસના 31 કેસોની ખાતરી થઈ છે. ઇ.એસ.પી.એન.ના રિપોર્ટમાં BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, બોર્ડ સરકારની માર્ગદર્શિકાના પગલે કોરોના વાયરસના સંબંધમાં દરેક જરૂરી પગલા લેવા તૈયાર છે.
આ સંદર્ભમાં તમામ હિસ્સેદારો, ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી, એરલાઇન્સ, ટીમ હોટલ, બ્રોડકાસ્ટિંગ ક્રૂ અને આ લીગ સાથે સંકળાયેલ તમામ લોકોને જરૂરી સાવચેતી રાખવા સરકારના સૂચનોનું પાલન કરવાનું કહેવામાં આવશે.
બોર્ડે એમ પણ કહ્યું છે કે, ખેલાડીઓને ચાહકો સાથે હાથ ન મલાવવાનું કહેવામાં આવશે અને કોઈ પણ જે ડિવાઇસ તેમનું ના હોય તેવી તસવીરો પર ક્લિક ન કરવાનું કહેવામાં આવશે. અત્યાર સુધીમાં, કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 3,300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
તેના વધતા જતા જોખમને લીધે ઘણી રમતગમતની ઈવેન્ટ રદ કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ઇવેન્ટ વિશે પણ આ જ સવાલ ઉભા થઈ રહ્યા છે.