કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશ-વિદેશમાં કેટલીય સ્પોર્ટસ ઇવેન્ટ રદ્દ થઇ ગઈ છે. ભારતમાં સૌથી મોટી લીગ આઈપીએલ પણ યોજાઈ શકી નહીં. એવામાં જ્યારે દેશમાં ધીમે ધીમે લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે ત્યારે ક્રિકેટરસિયાઓ માટે પણ સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ હવે સપ્ટેમ્બરમાં આયોજન કરવાનું વિચારી રહ્યું છે.
સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે આઈપીએલના આયોજન પર ચર્ચા
સૂત્રો અનુસાર કોરોનાની સ્થિતિને જોઇને લીગના આયોજન પર નિર્ણય લેવાશે
એક ફ્રેન્ચાઈઝીના અધિકારીએ સપ્ટેમ્બરમાં આયોજનના વિચારને સ્વીકાર્યું
તારીખો પર રણનીતિ શરુ
સૂત્રોએ કહ્યું કે આ વિશે અત્યારે કંઈ કહેવું એ ઉતાવળભર્યું નિવેદન કહેવાશે કારણ કે તેના માટે પરિસ્થિતિ પહેલાં સામાન્ય થવી પડશે. પરંતુ હા ભારતીય ક્રિકેટ બોર્ડ 25 સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે લીગનું આયોજન કરવા પર વિચાર કરી રહી છે. લીગનું આયોજન કરવાની એકમાત્ર શરત એ છે કે દેશમાં કોરોના કાબૂમાં આવી જાય અને સરકાર પણ આયોજન કરવા મંજૂરી આપે. હાલમાં આ તારીખો પર રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ જ મામલે એક ફ્રેન્ચાઈઝીના અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે લીગ શરુ કરવા માટે ઓછામાં ઓછી એક મહિનાના પ્લાનિંગની જરૂર હોય છે ત્યારે સપ્ટેમ્બર અને નવેમ્બર અંત સુધી આઈપીએલના આયોજન પર વિચાર કરવામાં આવી રહ્યું છે.
કોઈ પણ નિર્ણય દેશમાં કોરોનાની સ્થિતિ પર નિર્ભર
ફ્રેચાઈઝીના અધિકારીએ સ્વીકાર્યું કે અમને જણાવવામાં આવ્યું છે કે આ તારીખોને જોતા રણનીતિ બની રહી છે. અમે પણ આ બાબતને ધ્યાનમાં રાખીને નીતિ બનાવી રહ્યા છે. જોકે આ બધું જ દેશમાં કોરોનાની સ્થિતિ પરથી જ નક્કી થશે. જ્યારે બીજી એક ફ્રેન્ચાઈઝીના અધિકારીનું માનવું છે કે આ સમય સીમા પર વિચાર ચાલી રહ્યો છે પરંતુ મેચના સ્થળ અને વ્યવસ્થા વિશે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી અને કશું નક્કી કરવામાં આવ્યું નથી. નોંધનીય છે કે આઈપીએલમાં વિદેશનાં નેક ખેલાડીઓ સામેલ થાય છે ત્યારે તેમની વ્યવસ્થા માટે પણ બોર્ડે તૈયાર રહેવું પડશે, આ સિવાય શું દર્શકોને મેદાનમાં આવવાની છૂટ આપવામાં આવશે કે પછી ખાલી સ્ટેડીયમમાં મેચ થશે તેના પર પણ બોર્ડે મોટા નિર્ણય લેવા પડશે.
આઈપીએલના આયોજન માટે એક મહિનાની તૈયારી જરુરી
નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં ટી-20 વિશ્વકપનું આયોજન થવાનું છે. આ મેચ ઓસ્ટ્રેલીયામાં 18 ઓક્ટોબર અને 15 નવેમ્બર વચ્ચે રમવામાં આવશે ત્યારે આઈપીએલનું આયોજન કરતી વખતે તેનું પણ ધ્યાન રાખવું પડશે. જોકે આ વિશ્વકપ પણ નિર્ધારિત સમય પર જ થશે કે કેમ તેના પર આશંકાઓ છે. ત્યારે જો આઈપીએલનું આયોજન સપ્ટેમ્બરમાં કરવું હોય તો ઓગસ્ટથી તૈયારીઓ શરુ કરી દેવી પડશે.