તમને જણાવી દઇએ કે, આ પ્રવચન દરમ્યાન પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ ભગવાન શિવને લઇને વિવાદિત નિવેદન કરતા શિવભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રબોધ સ્વામીએ આ પ્રવચન દરમ્યાન ભગવાન શિવજીએ કચ્છના હરિભક્ત નિશીથના ચરણ સ્પર્શ કર્યાનો પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો. જ્યાર બાદ આ સમગ્ર વિવાદ વકર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ સોખડા વિવાદ દરમિયાન પણ પ્રબોધ સ્વામી વિવાદમાં આવી ચૂક્યા છે.
સનાતન ધર્મ વિશે વાતો કરો : નરેન્દ્ર બાપુ
જોકે આનંદસાગર સ્વામીની મહાદેવ પર ટિપ્પણી મામલે ટિપ્પણી મામલે રાજકોટના સાધુ સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આપાગીગા ઓટલા ચોટીલાના મહંતે આ નિવેદનને વખોડી કાઢ્યું છે. મહામંડલેશ્વર નરેન્દ્ર બાપુએ નિવેદનને વખોડતા કહ્યું કે, 'આનંદસાગર સ્વામીને સંપ્રદાયમાંથી કાઢી મૂકો. ધર્મ સાથે સુસંગત નથી એવી ટિપ્પણી ન કરવી જોઈએ. સનાતન ધર્મ વિશે વાતો કરો. એમના અનુયાયીઓએ આવા સ્વામીઓને કાઢી મૂકવા જોઈએ. મહાદેવ તો દેવોના દેવ છે. આ લોકો બજારમાં રહેવા માટે અનાબ શનાબ બોલે છે.'
શિવભક્તોમાં રોષ જોવા મળતા સ્વામીએ માફી માંગી
જોકે, બાદમાં આનંદસાગર સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ શિવભક્તોમાં રોષ જોવા મળતા ભારે વિવાદ બાદ આનંદસાગર સ્વામીએ માફી માંગી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
દરેક સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શિવનું સ્થાપન કરાય છે: SP સ્વામી
આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ અંગે કરેલા નિવેદનને SP સ્વામીએ પણ વખોડ્યું છે. SP સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું કે, દરેક સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શિવનું સ્થાપન કરવામાં આવે છે. વ્યક્તિની પોતાની મહત્વતા દર્શાવવા આ પ્રકારના નિવેદન કરાય છે. કોઈની પણ લાગણી દુભાય તેવા નિવેદનો ન આપવા જોઈએ.'
આનંદ સાગર સ્વામીના શિવજીના વિવાદિત નિવેદનને લઇને વડતાલ સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ આ વિવાદને લઇ નિવેદન આપતા કહ્યું કે, 'ગુરૂનો મહિમા વધારવા આનંદસાગર સ્વામીએ આવું ભાષણ આપ્યું છે. આવા નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લાગે છે. આનંદસાગર સ્વામીએ ક્યારેય શિક્ષાપત્રી વાંચી જ નથી. આવા સંતને ક્યારેય ન માનવા જોઈએ.' અમેરિકાના બોસ્ટન શહેરમાં આનંદસાગર સ્વામીએ આ પ્રકારે નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે, બોસ્ટનમાં પ્રબોધ સ્વામીના સન્માનમાં સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. એ દરમ્યાન સત્સંગ કાર્યક્રમમાં આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવનું અપમાન કર્યું હતું.
તમને ભગવાન શિવનું અપમાન કરવાનો અધિકાર નથી: રામેશ્વર બાપુ
વધુમાં આ અંગે રામેશ્વર બાપુએ પણ આ વિવાદિત નિવેદનને વખોડી કાઢ્યું હતું. તેઓએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'તમને ભગવાન શિવનું અપમાન કરવાનો અધિકાર નથી. શિવ બાપના પણ બાપ છે. તમે સાધુતાને કેમ ભૂલી રહ્યાં છો. સાધુ કંટ્રોલ ગુમાવે ત્યારે પબ્લિક જ સુધારે છે.'
આવા સંતોથી સાચા સંતને નુકસાન થાય છે: રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ
ભગવાન શિવનું અપમાન થવા મામલે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'સાધુ સંતોએ પોતાના ગુરૂની પ્રશંસા કર્યા પહેલા વિચાર કરવો જોઈએ. સાધુ-સંતોએ લોકોને ભ્રમિત ન કરવા જોઈએ. આવા સંતોથી સાચા સંતને નુકસાન થાય છે. આવા સંતો ધર્મ અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે. આવા સંતોને જેલમાં ધકેલી દેવા જોઈએ. કથિત સાધુએ જાહેર સ્ટેજ પરથી માફી માંગવી જોઈએ. જો માફી નહીં માગવામાં આવે તો પરિણામ ખરાબ આવશે.' મહત્વનું છે કે, પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ ભગવાન શિવને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું. જ્યાર બાદ આ સમગ્ર વિવાદ વકર્યો છે.
મહાદેવ સૃષ્ટિના સર્જનહાર છે: જનતા
ભગવાન શિવજી સામે આનંદસાગર સ્વામીની ટિપ્પણીને લઇ શિવ ભક્તો તેમજ સનાતન સેવકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે શિવભક્તોનું કહેવું છે કે, 'પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા દેખાડવાનો પ્રયાસ હિન છે. સંતને આવી વાણી ક્યારેય ન શોભે. મહાદેવ સૃષ્ટિના સર્જનહાર છે. આ સંતે સંનાતન સપ્રદાયની માફી માંગવી જોઈએ. આવાં સંત સંત કહેવાને લાયક નથી.'