અમદાવાદ શહેરમાં બાળકોમાં ઓરીનો રોગચાળો વકરતાં AMCનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. તંત્ર દ્વારા ઓરીગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા છે.
અમદાવાદ શહેરમાં ઓરીના કેસોમાં વધારો
ઓરીગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા
AMC દ્વારા એક માસમાં 1.32 લાખ બાળકોને 3 રસી અપાઇ
અમદાવાદમાં ઓરીના કેસો વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. શહેરમાં જે અર્બન હેલ્થ સેન્ટરમાં 2 કન્ફર્મ કેસ અને 5થી વધારે શંકાસ્પદ કેસ હોય તેવા વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા છે.
આ વિસ્તારોમાં જોવા મળ્યા મહત્તમ કેસો
અમદાવાદ શહેરના બહેરામપુરા, દાણીલીમડા, જુહાપુરા, મક્તમપુરા, ગોળલીંમડા અને રખિયાલમાં ઓરીના મહત્તમ કેસો જોવા મળ્યા છે. મ્યુનિ. હેલ્થ કમિટીમાં આ બાબતે વિસ્તારથી અપાયેલા અહેવાલમાં અત્યારે શહેરમાં 1661 શંકાસ્પદ કેસ પૈકી 457 કેસ સામે આવ્યા છે.
એક માસમાં 1.32 લાખ બાળકોને 3 રસી અપાઇ
AMC દ્વારા એક માસમાં 1.32 લાખ બાળકોને 3 રસી અપાઇ છે. જેમાં 1,08,393 બાળકોને વિટામિન એનો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 79,821 બાળકોને એમઆર-ઓરીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને લખ્યો હતો પત્ર
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને ઓરી રોગના લક્ષણોની ઓળખ અને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો હતો. જેમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવા તાકીદ કરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા માતા-પિતાએ અન્ય અફવાઓમાં ન આવીને તુરંત જ બાળકોની સારવાર શરૂ કરાવી દેવાની અપીલ કરવામાં આવી હતી.
બાળકમાં લક્ષણો દેખાય તો સ્કૂલે ન મોકલવા તાકીદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શિક્ષણ અધિકારીને પત્ર લખીને જાણ કરી હતી કે, બાળકને ઓરીના લક્ષણ દેખાય તો તાત્કાલિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જાણ કરવાની રહેશે અને બાળકને તાત્કાલિક રજા આપવાની રહેશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવાની તાકીદ કરી હતી.