બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શાળાએ વ્હિકલ લઈને આવતા વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે સ્કૂલ રાખશે લાઈસન્સનો હિસાબ
Last Updated: 03:17 PM, 29 July 2026
રિવરફ્રન્ટ પર બનેલા સગીર ભાઈ-બહેનના કરુણ અકસ્માતે ફરી એક વાર શહેરના વાલીઓ માટે ગંભીર ચેતવણી આપી છે. એક સામાન્ય દિવસ કેવી રીતે આખા પરિવાર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી પીડામાં બદલાઈ જાય છે તેનું ઉદાહરણ આ ઘટનાએ આપ્યું છે. હવે આ બનાવ એકમાત્ર રોડ અકસ્માત રહ્યો નથી, પરંતુ સગીર બાળકોના હાથમાં વાહનની ચાવી આપતાં પહેલાં વિચારવાની જરૂરિયાત અંગે મોટો સવાલ બની ગયો છે.
ADVERTISEMENT
ઘણા વાલીઓ માટે બાળક મોટું થઈને બાઈક કે સ્કૂટર ચલાવે તે ગર્વની વાત બની જાય છે. બાળકને સમયસર સ્કૂલ પહોંચવાનું હોય, કોચિંગ ક્લાસ જવાનું હોય કે કોઈ કામ માટે બહાર નીકળવાનું હોય ત્યારે માતા-પિતા ઘણીવાર તેની માગણી પૂરી કરી દે છે, પરંતુ આ નિર્ણય પાછળ છુપાયેલું જોખમ ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. રસ્તા પર માત્ર વાહન ચલાવવું પૂરતું નથી, પરંતુ ટ્રાફિક નિયમોની સમજ, અનુભવ અને જવાબદારી પણ એટલી જ જરૂરી છે. સગીર વયનાં બાળકોમાં ઉતાવળ, જોખમ લેવાની માનસિકતા અને ટ્રાફિકની ગંભીર સ્થિતિનો અંદાજ ન હોવાના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે.
રિવરફ્રન્ટની ઘટના બાદ હવે શિક્ષણ વિભાગે પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ તમામ શાળાઓમાં સગીર વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચલાવવાના મામલે તપાસ કરવા સૂચના આપી છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરની અનેક શાળાઓમાં ધોરણ-૯થી ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બાઈક અને સ્કૂટર લઈને આવતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે વાહન ચલાવવાનું લાઈસન્સ નથી હોતું, છતાં તેઓ રોજિંદા સ્કૂલ સુધી વાહન લઈને પહોંચે છે. અત્યાર સુધી આવી બાબતોમાં મોટા ભાગે માત્ર વાલીઓને જાણ કરવામાં આવતી હતી, પરંતુ હવે શિક્ષણ વિભાગે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
સ્કૂલની જવાબદારી નક્કી થશે
ADVERTISEMENT
જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ શાળાઓમાં ચકાસણી કરવામાં આવશે. વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ પાસે લાઈસન્સ છે કે નહીં તેની તપાસ કરાશે. જો કોઈ વિદ્યાર્થી લાઈસન્સ વગર વાહન ચલાવતો જોવા મળશે તો તેની જાણ વાલીઓને કરવામાં આવશે અને જરૂરિયાત જણાશે તો પોલીસને પણ જાણ કરવામાં આવશે.
ADVERTISEMENT
હવે ‘મારું બાળક છે’ નહીં, ‘મારી જવાબદારી છે’નો સમય
ઘણા વાલીઓ પોતાનાં સંતાનોને વાહન આપીને એવું માને છે કે બાળક હવે મોટું થઈ ગયું છે અને પોતાની જવાબદારી સમજી શકે છે, પરંતુ રસ્તા પર માત્ર આત્મવિશ્વાસ નહીં, અનુભવ અને કાયદાનું પાલન પણ જરૂરી છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે બાળકને સુરક્ષિત રાખવાની જવાબદારી માત્ર પરિવારની નહીં, પરંતુ શાળા અને સમાજની પણ છે. આથી હવે શાળાઓએ પણ સક્રિય ભૂમિકા ભજવવી પડશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 2023 પછી ગુજરાતના આ ગામમાં ખેડૂતો વાવણી જ નથી કરી શક્યા, 150 એકર જમીન પાણીમાં પણ તંત્રની ઉંઘ નથી ઉડતી
સરપ્રાઈઝ ચેકિંગથી ખૂલશે હકીકત
ADVERTISEMENT
શિક્ષણ વિભાગના ફિલ્ડ અધિકારીઓ દ્વારા શાળાઓમાં સમયાંતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. તમામ શાળાઓને પરિપત્ર પાઠવીને સગીર વિદ્યાર્થીઓ વાહન લઈને આવે તો તેની માહિતી રાખવા અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત કેટલીક શાળાઓ અને કોચિંગ ક્લાસીસ દ્વારા વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ પાસેથી વાલીની સંમતિનો પત્ર લેવાની શરૂઆત પણ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ અકસ્માતે એક પરિવારને ક્યારેય ન ભુલાય તેવી પીડા આપી છે, પરંતુ હવે આ ઘટના બાદ શિક્ષણ વિભાગનો પ્રયાસ છે કે બીજી કોઈ ઘટના બને તે પહેલાં જ સાવચેતીનાં પગલાં લેવામાં આવે. એક વિદ્યાર્થીની બેદરકારી પાછળ આખા પરિવારની જિંદગી ન બદલાઈ જાય તે માટે હવે સ્કૂલ, પોલીસ અને વાલીઓ વચ્ચે સંકલન વધારવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.