અમદાવાદમાં ફરી એકવાર વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. કોરોનાગ્રસ્ત દર્દીને બસમાં ઘરે મોકલાયો હતો. જે દર્દીને બસમાં મોકલ્યો તેનો મૃતદેહ BRTS સ્ટેન્ડ પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે આખરે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા અને આવી ઘોર બેદરકારી કેમ થઈ તે વિશે 24 કલાકમાં રિપોર્ટ સોંપવાના પણ આદેશ કર્યા હતા.
પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને સમગ્ર મામલે તપાસ સોંપાઈ
દાણીલીમડા BRTS સ્ટેન્ડ પાસેથી મૃતદેહ મળ્યો હતો. 14મેના રોજ દર્દીને હોમ આઈસોલેશન માટે રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી દર્દીને BRTS બસમાં રવાના કરવામાં આવ્યા હતો. બસમાંથી ઉતર્યા બાદ દર્દીનું બસ સ્ટેન્ડે આકસ્મિક મૃત્યુ થયું હતું. મૃતદેહ માટે પ્લાસ્ટિક પણ પરિવારજનો પાસે મંગાવાયું હતુ. વોર્ડબોયે મૃતદેહ પર દવા છાંટવાના રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. શબવાહિની ન મળતા પરિવારજનો ઉંચકીને મૃતદેહને સ્મશાને લઈ ગયા હતા.
CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
ભાજપના નેતા ગિરીશ પરમારે CM રૂપાણીને રજૂઆત કરી હતી. ગિરીશ પરમારની રજૂઆત બાદ CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા. CM રૂપાણીએ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને તપાસ સોંપી છે. તપાસનો અહેવાલ 24 કલાકમાં રજૂ કરવાનો આદેશ અપાયો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાના CM રૂપાણીએ આદેશ આપ્યા છે.
શું છે સમગ્ર મામલો?
દાણીલીમડાના આધેડને શ્વાસમાં તકલીફ થતા સિવિલમાં કરાયા હતા દાખલ
10મેના રોજ 67 વર્ષીય ગણપતભાઈને સિવિલમાં દાખલ કરાયા હતા
સિવિલના તબીબોએ પરિવારને કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે જણાવાયું
બે દિવસ સુધી પરિવારને દર્દી વિશે કોઈ જાણ કરાઈ ન હતી
ત્રીજા દિવસે 14 તારીખે AMCએ દર્દીના ઘરે ક્વોરન્ટાઈનનું બોર્ડ લગાવ્યું
15 મેના રોજ BRTS સ્ટેન્ડ પાસેથી દર્દીની બિનવારસી હાલતમાં લાશ મળી
હોસ્પિટલમાંથી દર્દીને હોમ આઈસોલેશન કરવા માટે રજા અપાઈ
હોસ્પિટલમાંથી BRTSમાં દર્દીને ઘરે મોકલવા માટે રવાના કરાયા
પોલીસ પાસેથી જાણ થતા પરિવારજનો BRTS બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા
મૃતદેહ માટે પ્લાસ્ટિક પણ પરિવારજનો પાસેથી મંગાવવામાં આવ્યું હતુ
વોર્ડબોયે મૃતદેહ પર દવા છાંટવાના રૂપિયા લીધાના પરિવારનો આક્ષેપ
મૃતદેહને PPE કીટ પહેરાયા વગર પરિવારજનો ઘરે જવા માટે મજબૂર
શબવાહિની ન મળતા મૃતદેહને કંધા પર મૂકીને સ્મશાન સુધી લઈ જવાયો
સળગતા સવાલ
તંત્ર દ્વારા દર્દીઓને કેમ ઘરે સુધી પહોચાડવામાં આવતા નથી?
દર્દીઓને રજા આપતા સમયે પરિવારને કેમ જાણ કરાતી નથી?
BRTSમાં દર્દીને મોકલતા સમયે પરિવારને કેમ જાણ ન કરાઈ?
કોરોનાના દર્દીના મોતનું જવાબદાર કોણ?
અમદાવાદમાં તંત્ર કેમ પોતાની જવાબદારીથી છટકે છે?
દર્દીઓની સંભાળ રાખવામાં તંત્ર નિષ્ફળ?