શહેરમાં ફરી એક વાર બેટરીની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે, કારણ કે નરોડા રોડ પાસેના કઠવાડા નજીક જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં પાર્ક કરેલી ગુજરાત સરકારની બંધ પડેલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાંથી તસ્કરો ૪૧ બેટરી કાઢીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કઠવાડા વિસ્તારમાં આવેલી શ્રીધર સોસાયટીમાં રહેતા અશોકન ઈરવાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. અશોકન હાલમાં જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે.
કઠવાડા પાસે આવેલ ઇમર્જન્સી સેવા ચોવીસ કલાક લોકો માટે ઉપલબ્ધ રહે છે અને અહીંયાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવેલા છે અને એપ્રિલથી જુલાઈ મહિના દરમિયાન કેમ્પસમાં ફ્લીટ ડિપાર્ટમેન્ટના માણસો ૧૦૮ના કેમ્પસમાં મૂકેલી બંધ પડેલી એમ્બ્યુલન્સ વાનની તકેદારી રાખતા હોય છે.
જોકે ફલીટ ડિપાર્ટમેન્ટના માણસોએ જ્યારે ૧ ઓગસ્ટે બંધ પડેલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની તપાસ કરી ત્યારે તેમાંથી ૪૧ બેટરીની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ ફ્લીટ ડિપાર્ટમેન્ટના માણસોએ ડેપ્યુટી મેનેજરને બંધ પડેલી ૪૧ એમ્બ્યુલન્સ વાનમાંથી કોઈ અજાણ્યા શખ્સો ૪૧ બેટરીની ચોરી ગયા હોવાની જાણ કરી હતી.
તે પછી ડેપ્યુટી મેનેજરે ચોરી થયાનું જણાતાં નિકોલ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે હાલ સમગ્ર ઘટનાની માહિતી મેળવી કેમ્પસમાં આવેલ સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. કઠવાડા રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવમાં દિન-પ્રતિદિન વધારો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા દિવસે ને દિવસે આધુનિક બનતી જાય છે. આધુનિક ટેકનોલોજીથી સજજ ૧૦૮ એમ્બુલન્સની સમયમર્યાદા પૂર્ણ થાય ત્યારે તેને રિટાયર કરવામાં આવે છે. સરકારી કર્મચારીની જે રીતે નોકરીની સમયમર્યાદા હોય છે તેવી જ રીતે ૧૦૮ એમ્બુલન્સ વાનની પણ સમયમર્યાદા હોય છે અને નિયમ મુજબ તેને રિટાયરમેન્ટ આપીને વિહિકલ ઝોનમાં રાખવામાં આવે છે. ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની મર્યાદા પ વર્ષ અથવા તો ૩ લાખ કિલોમીટરની હોય છે. એમ્બ્યુલન્સ વાન આ મર્યાદા પૂર્ણ કરે એટલે તેને નિવૃત્ત કરી દેવામાં આવે છે.
વર્ષ ર૦૦૭થી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ગુજરાતમાં સિક્રય છે. હાલ ગુજરાત રાજ્યમાં પ૮૭ એમ્બ્યુલન્સ વાન ઈમર્જન્સી સેવા પૂરી પાડે છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સુવિધાને લઈ અનેક આક્ષેપો પણ થયા છે, પરંતુ ટેકિનકલ ખામી કે એમ્બ્યુલન્સ વાનમાં રહેલી ખામીઓના કારણે મુશ્કેલીઓ પડતી હોય છે, પરંતુ લોકોની સલામતીને લઈ સર્વિિસંગની સાથે એમ્બ્યુલન્સને નિવૃત્ત પણ કરવામાં આવતી હોય છે.
દર વર્ષે ૧૦ થી ૧પ એમ્બ્યુલન્સ વાનને નિવૃત્ત કરવામાં આવે છે, જ્યારે સરકાર તરફથી નવી ર૦ વાન ઉપલબ્ધ થાય છે. નિવૃત્ત વાનને વેચીને નવી વાન લાવવામાં રોકાણ પણ કરવામાં આવે છે, પરંતુ રિટાયરમેન્ટ થયા પછી તેની દેખરેખ રાખવા માટે ડિપાર્ટમેન્ટે માણસો રાખ્યા હોવા છતાં પણ એમ્બ્યુલન્સમાંથી ચોરી કેમ થાય છે તે એક મોટો પ્રશ્ન થાય છે.
ઉલ્લેખનીય છે કે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મેટ્રો ટ્રેનના સ્ટેશન પરથી પણ બેટરીઓની ચોરી થઈ હતી. બીજી બાજુ સોલા સિવિલ હોસ્પિટલમાંથી પણ બેટરીઓની ચોરી થઈ હતી. આ ગેંગ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બેટરીઓની ચોરી કરતી રહે છે, પરંતુ પોલીસ તેને પકડી શકી નથી.