રજાઓ હવે લાંબા વેકેશનનો સમય કોઈની પાસે નથી. અમે યાદી લઇને આવ્યા છીએ અમદાવાદથી નજીક વન ડે પીકનીકની 10 ફરવાની જગ્યાઓની!
નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી હવે નજીકમાં છે. હવે શહેરમાં લાઈફસ્ટાઇલ એવી થઈ ગઈ છે ને કે વિકએન્ડ સિવાય લાંબી ટુર કરવાનો તો સમય જ નથી મળતો. વળી હોટેલ બુક કરાવો એટલે એનો ખર્ચ અલગ. એટલે હવે ગુજરાતીઓ વન-ડે પિકનિકના મૂડમાં આવી ગયા છે.
વન ડે પીકનીક એટલે સવારે નીકળી જવાનું, આખો દિવસ જે તે સ્થળે ફરવાનું, અને રાત્રે નીકળીને ઘરે પાછા. સમય અને પૈસા બંનેની બચત અને પાછું આઉટિંગ પણ થઇ જાય. તો અમે આવી ગયા છે અમદાવાદ શહેરથી નજીકના 10 એવા સ્થળો લઇને જ્યાં તમે પરિવાર કે મિત્રો સાથે વન ડે પીકનીકની મજા માણી શકો છે.
1. નળ સરોવર
121 ચોરસ કિમીમાં વિસ્તરેલા આ સરોવરને પર્યાવરણની ભાષામાં આર્દ્રભૂમિ કહેવાય છે કારણ કે અહીંયા પાણીની ઊંડાઈ ફક્ત 3-4 ફુટ જ હોય છે. નળ સરોવર બર્ડ સેન્ચ્યુરીમાં 250 જાતના પક્ષીઓ જોવા મળે છે. ચોમાસા પછી આ વિસ્તાર પાણીથી છલોછલ ભરાઈ જાય છે અને યાયાવર પક્ષીઓની ફોજ અહીં ઉતરે છે.
અહીં બતક, બગલા, પેલિકન, ફ્લેમિંગો, રાજહંસ જેવા પક્ષીઓ જોવા મળે છે. અહીં પહોંચીને તમે અહીંની બોટમાં બેસીને સરોવરની મજા માણી શકો છો. સવારના 6 વાગે કડકડતી ઠંડીમાં અહીંના પંખીઓને જોવા અને તેમને ચણ નાખવા એક આહ્લાદક અનુભવ છે. અહીંના એક બેટ ઉપર નાસ્તો કરવાની અને જમવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
મુખ્ય આકર્ષણ : યાયાવર પક્ષીઓ, બોટિંગ, પક્ષીઓને ચણ નાખવા, ફોટોગ્રાફી
અમદાવાદથી કેટલું દૂર : 60 કિમી
એક ફેમિલીનું અંદાજિત બજેટ : 1000 રૂપિયા
(*એક ફેમિલી એટલે 4 સભ્યો = 2 પુખ્તવયના અને 2 બાળકો)
2. મોઢેરા સૂર્યમંદિર
સૂર્ય દેવના મુખ્ય મંદિરો ભારતમાં બે જ સ્થળે આવેલા છે. જેમાં એક ઓડિશાના કોર્ણાકમાં અને બીજુ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરામાં. સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિલ્પનો ઉત્કષ્ટ નમૂનો છે.
અમદાવાદથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલ વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરામાં આવેલું છે. પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નક્સી અદભૂત, અવિસ્મરણીય છે.
મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે.
આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલુ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે.
મુખ્ય આકર્ષણ : કોતરણીકામ, સૂર્યમંદિર, શિલ્પકામ
એક ફેમિલીનું અંદાજિત બજેટ : 2500 રૂપિયા
અમદાવાદથી કેટલું દૂર : 100 કિમી
3. પોળો ફોરેસ્ટ
ઇડર પાસે આવેલા વિજયનગર પાસે આવેલું 400 ચોરસ કિમીના વિસ્તારમાં પથરાયેલું પોળો ફોરેસ્ટ સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે હરિયાળીથી છવાયેલું રહે છે.
અહીં 450થી વધુ પ્રકારના ઔષધી છોડ, 275 પ્રકારના પક્ષીઓ, 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ અને 32 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ જોવા મળે છે. અહીં રીંછ, દીપડા, ઝરખ, ઉડતી ખિસકોલી જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે. અહીં સદીઓ જુના કિલ્લા અને મંદિરોના અવશેષો મળી આવે છે.
મુખ્ય આકર્ષણ : 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ, 450 પ્રકારના છોડ, કિલ્લાઓ, મંદિરોના અવશેષ, રીંછ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ
એક ફેમિલીનું અંદાજિત બજેટ : 3000 રૂપિયા
અમદાવાદથી કેટલું દૂર : 100 કિમી
4. રાણીની વાવ પાટણ
ગુજરાતની બધી જ વાવમાં રાણકી વાવ શિરમોર સમી છે. અને એટલે જ એને યુનેસ્કો તરફથી પુરાતત્વ વારસા તરીકેનું સ્થાન મળ્યું છે.
સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ ગુજરાતના સોલંકી યુગની ભેટ છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી તેનો પુત્ર ભીમદેવ પહેલો ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ જેમના સમયમાં સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરી ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્યમંદિર બંધાવ્યું જ્યારે તેની રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણીની વાવ અથવા રાણકી વાવ તરીકે જાણીતી થઈ હતી.
આ વાવ ૬૫ મીટર લાંબી અને ૨૦ મીટર પહોળી છે. કૂવાનો ભાગ ૨૮ મીટર ઊંડો છે. મૂળમાં આ વાવ સાત મજલાની હતી. વાવના કૂવાની દિવાલોમાં દેવીદેવતાઓના શિલ્પો તથા શેષશાયી વિષ્ણુનું ઉત્કૃષ્ઠ શિલ્પ બેનમૂન છે.
મુખ્ય આકર્ષણ : વાવ, કોતરણીકામ, શિલ્પકામ
એક ફેમિલીનું અંદાજિત બજેટ : 2500 રૂપિયા
અમદાવાદથી કેટલું દૂર : 127 કિમી
5. વેળાવદર નેશનલ પાર્ક
34 ચોરસ કિમીમાં આવેલો આ પાર્ક તેના કાળિયાર માટે જાણીતો છે. કાળિયાર એક પ્રકારના હરણ છે જેમના માથે વાંકડિયા શીંગડા શોભે છે. આ વિસ્તારમાં સૂકા ઘાસના જંગલ આવેલા છે. અહીં 1800 કાળિયાર ઉપરાંત નીલગાય, સાઇબિરિયાથી આવતા પક્ષીઓ અને બીજા 120 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત અહીં વહેલી સવારે વરુ પણ જોવા મળે છે.
અહીં વહેલી સવારે જવું હિતાવહ છે અને સાથે એક ગાઈડને રાખવાથી આ પાર્કના ઇતિહાસની, અહીંના પ્રાણીઓની અને અહીંની સ્થાનિક સંસ્કૃતિની રસપ્રદ માહિતી જાણી શકાય છે.
મુખ્ય આકર્ષણ : કાળિયાર, નીલગાય, યાયાવર પક્ષીઓ, વરુ, સૂકા જંગલો
એક ફેમિલીનું અંદાજિત બજેટ : 4000 રૂપિયા
અમદાવાદથી કેટલું દૂર : 143 કિમી
6. થોળ સરોવર
અમદાવાદથી 28 કિમી દુર આવેલ થોળ એક માનવસર્જિત તળાવ છે. અહીં 150 જાતના પક્ષીઓ આવે છે જેમાંથી 60% જળચર પક્ષીઓ છે. ચોમાસા પછી અહીં કિનારે બેસીને રીલેક્સ થવા માટે, તસ્વીરો ખેંચવા માટે અને પક્ષીઓ જોવા માટે આ બેસ્ટ પ્લેસ છે.
મુખ્ય આકર્ષણ : યાયાવર પંખીઓ, પક્ષી દર્શન, બોટિંગ (સીઝન પ્રમાણે)
એક ફેમિલીનું બજેટ : 1000 થી 2000 રૂપિયા
અમદાવાદથી કેટલું દૂર : 28 કિમી
7. બાલાસિનોર ડાયનાસોર પાર્ક
1980માં બાલાસિનોરના રાયીઓલી ગામમાં 6 કરોડ 50 લાખ વર્ષ જુના ડાયનાસોરના અવશેષો મળી આવ્યા. અહીંના ડાયનાસોરને રાજાસોરસ નર્માડેન્સિસ નામ આપવામાં આવ્યું છે.
આ વિસ્તારમાં પ્રવાસીઓને ડાયનાસોર માટે ઉત્સુકતા જગાવવા માટે 25000 સ્ક્વેર ફૂટની જગ્યામાં ડાયનાસોર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેમાં 10 અલગ અલગ ગેલેરી છે અને એક 3-D ફિલ્મ દેખાડીને ડાયનાસોર વિષે માહિતી આપવામાં આવે છે.
આ ઉપરાંત એક ટાઈમ મશીન સિમ્યુલેટર બનાવવામાં આવ્યું છે. આ સાથે ડાયનાસોર અહીંયા કેવી રીતે રહેતા હતા, તેમનું કેવું કદ હતું વગેરે જેવી બાબતો દર્શાવવા માટે અહીં 40 જેટલા ડાયનાસોરના શિલ્પ બનાવવામાં આવ્યા છે.
મુખ્ય આકર્ષણ : ડાયનાસોરના પૂતળા, 3-D ફિલ્મ, ડાયનાસોર ગેલેરી
એક ફેમિલીનું બજેટ : 2500 રૂપિયા
અમદાવાદથી કેટલું દૂર : 103 કિમી
8. લોથલ
લોથલ દુનિયાનુ સૌથી પહેલુ બંદર હતુ, જે લગભગ અઢી હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યુ હતુ. ૧૯૫૫ થી ૬૨ દરમ્યાન સંશોધન કરતાં આ પ્રાચીન શહેર લોથલ મળી આવ્યું.આ નગરમાંથી મળેલા અવશેષો ઈ.સ.પૂર્વેનાં ૨૫૦૦ થી ૧૯૦૦ દરમ્યાનનાં હોવાનું માનવામાં આવે છે.
લોથલ એ બહુ મોટું વ્યાપારી બંદર હતું,તેની સમૃદ્ધતાનું કારણ પશ્ચિમ એશિયા સાથેનો તેનો વ્યાપાર હતો.આશરે 15000 જેટલી વસતી ધરાવતું આ નગર બે ભાગમાં વહેંચાયેલું છે.
પ્રથમ ભાગ દુર્ગ જ્યાં સમાજનાં ઉચ્ચવર્ગના શ્રીમંત લોકોનો વસવાટ હતો અને બીજો ભાગ નગર જ્યાં શ્રમિક લોકો રહેતા હતા.આ બંદર પર મોટી સંખ્યામાં જહાજો લાંગરી શકાય તેવી વ્યવસ્થા હતી,આ વ્યવસ્થા આજે પણ જોવા મળે છે.
અહીં જોવા મળતાં આયોજનબદ્ધ મકાનો, ઈંટના બાથરૂમ, ગટરવ્યવસ્થા,આખું વર્ષ ચાલે તેટલાં પાણી સંગ્રહ કરવા માંટે બનાવેલ ટાંકી, કુવો, તથા પુર સમયે કોઈ જાનહાની ન થાય તેવી નગરવ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી છે.
એક ફેમિલીનું બજેટ : 2500 રૂપિયા
અમદાવાદથી કેટલું દૂર : 78 કિમી
9. ઝાંઝરી ધોધ
એક દિવસના પીકનીક માટે ઝાંઝરી એક પરફેક્ટ ડેસ્ટીનેશન છે. અહીંની પથરાળ સપાટી ઉપર વાત્રક નદીના ઝરણાં વહે છે જ્યાં તમે સાવચેતી રાખીને સ્નાન કરવાની પણ મજા માણી શકો છો. અહીં આસપાસમાં ખાવા પીવાની વ્યવસ્થા ઓછી હોવાથી પોતાનું ભોજન સાથે લઇ જવું હિતાવહ છે.
મુખ્ય આકર્ષણ : ઝરણાં, સરોવર, કુદરતી હરિયાળી
એક ફેમિલીનું બજેટ : 2000 રૂપિયા
અમદાવાદથી કેટલું દૂર : 80 - 85 કિમી
10. ચાંપાનેર
યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઈટનો દરજ્જો પામેલું ચાંપાનેર હિન્દુ અને મુસ્લિમ એમ બંને સંસ્કૃતિનો ઇતિહાસ ધરાવે છે. અહીંના પાવાગઢના મંદિરની ટોચે કાળકા માતાનું મંદિર આવેલું છે અને શ્રદ્ધાળુઓ નવરાત્રીમાં અહીં દર્શને આવે છે.
આ રમણીય સ્થળે મસ્જિદો, સ્થાપત્યો, કબર, કુવા, વાવ જેવી અનેક વસ્તુઓ જોવા અને જાણવા જેવી છે. 8મી થી 14મી સદી સુધી બનેલા અહીંના સ્થાપત્યો ભારતીય ઇતિહાસના બેનમૂન નમૂના છે. આ સ્થળ રાજપૂત અને મુસ્લિમ એમ બંને શાસક પક્ષોનું મુખ્ય કેન્દ્ર રહી ચૂક્યું છે.
મુખ્ય આકર્ષણ : પાવાગઢ, પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, મંદિરો