ગઇકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 15 વર્ષ બાદ સૌથી ઓછું મતદાન નોંધાયું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું ગુજરાતમાં ઓછું મતદાન કોઇ પક્ષને સૌથી વધુ નુકસાન કરશે કે કેમ?
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સરેરાશ 61% મતદાન નોંધાયું
ચૂંટણીમાં વોટિંગની બદલાયેલી પેટર્ન પક્ષને અસર કરી શકે!
સૌથી ઓછું 54.84 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું.મતદાન પૂર્ણ થયા બાદ તમામ 89 બેઠકો પર સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું છે.સૌથી વધુ 73.10 ટકા મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું 54.84 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ તબક્કાની ચૂંટણી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાઈ હતી.
રાજ્યમાં સૌથી વધુ 73.10% અને સૌથી ઓછું 54.84 ટકા મતદાન
અત્રે જણાવી દઇએ કે, રાજ્યમાં સરેરાશ કુલ મતદાન 61% નોંધાયું છે. જેમાં સૌથી વધુ 73.10% અને સૌથી ઓછું 54.84 ટકા મતદાન નોંધાયું. ત્યારે હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે રાજ્યમાં થયેલા ઓછાં મતદાનથી હવે કોનો ખેલ બગડશે?
જુઓ ક્યાં કેટલાં ટકા મતદાન નોંધાયું?
મહત્વનું છે કે, રાજ્યમાં નર્મદામાં 73.10% મતદાન નોંધાયું, કચ્છમાં 56.54% મતદાન નોંધાયું, તાપીમાં 72.32%, ડાંગમાં 64.84%, જામનગરમાં 57.20%, દ્વારકામાં 60.10%, ગીર સોમનાથમાં 61.46%, જૂનાગઢમાં 58.05%, પોરબંદરમાં 54.84%, ભાવનગરમાં 58.81%, બોટાદમાં 58.15%, અમરેલીમાં 58.10%, સુરેન્દ્રનગરમાં 61.70%, રાજકોટમાં 58.60%, મોરબીમાં 67.65%, ભરૂચમાં 64.10%, સુરતમાં 61.20%, નવસારીમાં 66.90% અને વલસાડમાં 65.55% મતદાન નોંધાયું.
જાણો ઓછાં મતદાનનો શું અર્થ નીકળશે?
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચૂંટણીમાં ઓછાં મતદાનથી સત્તામાં રહેલા પક્ષને ફાયદો થાય છે. રાજકીય નિષ્ણાંતોનું કહેવું એમ હોય છે કે ઘણી વખત જ્યારે મતદારો સરકારની કામગીરીથી સંતુષ્ટ હોય અથવા તેઓ પરિવર્તનની તરફેણમાં ન હોય ત્યારે ઓછાં મતદારો બૂથ પર વોટ આપવા જતા હોય છે. એ જ સમયે, મતદાનની ટકાવારીમાં વધારો થવો એ પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવતું હોય છે. જો કે, એ ચોક્કસપણે કહી ના શકાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે ગુજરાતમાં ઓછું મતદાન કોની તરફેણમાં જશે અને કોને તેનો ફાયદો થશે અને કોને તેનું નુકસાન સહન કરવાનો વારો આવશે. એ તો 8 ડિસેમ્બરની મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.
રાજ્યના 4 ગામોમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કામાં સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું છે. પરંતુ ગઇકાલની ચૂંટણીમાં જામનગર, ભરૂચ, નવસારી અને નર્મદા જિલ્લાના એક-એક ગામો એવાં છે કે જ્યાં ગઇકાલે એકપણ મત નહોતો પડ્યો. આ ગામના મતદાન મથકો પર સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચૂંટણી સ્ટાફ મતદારોના આગમનની રાહ જોતા રહ્યાં પરંતુ પાંચ વાગ્યા સુધીમાં એકપણ મતદાર આવ્યો નહીં. તંત્રએ મતદારોને સમજાવવાના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ તેઓ તેમાં સફળ ન રહ્યાં. જ્યારે ભરૂચ જિલ્લાના જ ત્રણ ગામોમાં બપોર સુધી એકપણ મત ન હોતો પડ્યો. જોકે બાદમાં તંત્રની સમજાવટ બાદ ગામલોકોએ મતદાન કર્યું હતું.
કેસર ગામના 700 મતદારો મતદાનથી અળગા રહ્યાં
છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના કેસર ગામના મતદારો પ્રાથમિક સુવિધાના અભાવે તેમજ કીમ નદી પર પુલને લઇ તે સમયના કલેક્ટર અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ચૂક્યાં છે. પરંતુ હજુ સુધી 700થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં પ્રાથમિક સુવિધા પૂરી નહીં પાડવામાં આવતા લોકોને ભારે હાલાંકી વેઠવાનો વારો આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગઇકાલે આ ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. તેઓનું કહેવું હતું કે જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં.
જુઓ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કેવું રહ્યું મતદાન?
આદિવાસી વિસ્તારની 14 સીટ પર સરેરાશ 70% જેટલું ઊંચુ મતદાન રહ્યું
2017 કરતા 7%નો ઘટાડો
પાટીદારોની 37 બેઠક પર 8% મતદાન ઘટ્યું
તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ઢોલ-નગારા સાથે ચૂંટણીનો 'અવસર' ઉજવાયો
વોટિંગની પેટર્ન પણ બદલાઇ: સવારના 3 કલાકને બદલે બપોર બાદ મતદાન વધ્યું
રાજ્યના 4 ગામોમાં એકપણ મત ન પડ્યો
નર્મદાના સામોટ ગામ અને ભરૂચના ત્રણ ગામમાં બપોર સુધી એકપણ મત ન હોતો પડ્યો
સૌરાષ્ટ્રમાં 48માંથી 45 બેઠકો પર મતદાનમાં ઘટાડો નોંધાયો
ત્રિપાંખીયો જંગ હોવા છતાં મતદાન 2017 કરતા ઓછું નોંધાયું
પરંપરાગત બેઠક પર 2017 કરતા મતદાન ઓછું જોવા મળ્યું
રાજકોટ પશ્ચિમ બેઠક પર બપોર પછી નિરસતા જોવા મળી
રાજકોટ પશ્ચિમ બેઠક પર 10% જેટલું ઓછું મતદાન થયું
ગોંડલ બેઠક પર 2.83% મતદાન ઓછું થયું
સૌરાષ્ટ્રની બેઠકો પર 2017માં 65% મતદાન નોંધાયું હતું
સૌથી ઓછુ બોટાદની ગઢડા બેઠક પર 51.04% મતદાન
સૌથી વધુ વાંકાનેરમાં 71.19% મતદાન નોંધાયું
મતદાન ઓછું થતા ઉમેદવારો મુંઝવણમાં મૂકાયા
ગુજરાતમાં હવે શું થશે? સાતમી જીતનો રેકોર્ડ કે પરિવર્તન!
ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષથી પોતાનું શાસન જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજું કોંગ્રેસે ગામડે-ગામડે જઈને ત્રણ દાયકાના દુષ્કાળને ખતમ કરવાની અપીલ કરી છે. એવામાં આ વખતે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ પણ તમામ સીટો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે અને મોટા પરિવર્તનનો દાવો કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે 8 ડિસેમ્બરના રોજ કયો પક્ષ ગુજરાતમાં બાજી મારી જશે? મહત્વનું છે કે, રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે અને 8મી ડિસેમ્બરે પરિણામ આવશે. 182 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 92 સીટોની જરૂર છે. 2017માં ભાજપે 99 અને કોંગ્રેસે 77 બેઠકો કબજે કરી હતી.