સુરતમાં દિલ્હી ગેટ ફ્લાયઓવરનું ટેન્ડર તેની વાસ્તવિક કિમંત કરતા ત્રણ ગણી કિંમતે ચુકવ્યા છતાંય બ્રિજનું કામ પુરુ થઈ ગયા ના બે વર્ષ બાદ રાજકમલ બિલ્ડર્સે વધારાના રૂા. 7.26 કરોડની માંગ કરી હતી. મનપા પણ તેની હામાં હા ભણે જતી હતી. આ માટે સ્થાયી સમિતિમાં પણ પ્રસ્તાવ લઈ જવાયો હતો પરંતુ આ અહેવાલને VTVએ પ્રજા સમક્ષ પ્રસ્તુત કરી દીધો હતો જેને પરિણામે મનપા હવે બિલ્ડરને રકમ નહીં ચુકવાય અને દંડ થશે.
2015માં 39.56 કરોડનું ફ્લાયઓવરનું ટેન્ડર અપાયું હતું
રાજકમલ બિલ્ડર્સે આ બ્રિજના ફાઇનલ બિલનું પેમેન્ટ સને-2016માં મેળવી લીધું હતું
સુરત મનપાની સ્થાયી સમિતિમાં રાજકમલ બિલ્ડર્સની દિલ્હીગેટ ફ્લાયઓવર માટેની વધારાના રૂા. 7.26 કરોડની માંગણીનો અસ્વીકાર કર્યો હતો અને ઉપરથી રાજકમલ બિલ્ડર્સ પાસેથી બ્રિજની કામગીરી મોડી કરવા બદલ દંડ વસૂલવાનું નક્કી કર્યુ છે.
શું હતો મામલો?
સુરતમાં પ્રજાના પૈસે મનપાના તાગડધિન્ના કંઈ આજકાલના નથી. મહાનગરપાલિકા અને બિલ્ડિરની મિલીભગત હતી જેમાં સુરતમાં રાજકમલ બિલ્ડરે દિલ્હીગેટ ફ્લાયઓવરના વધારાના 7.26 કરોડ માગ્યા હતા. 2015માં 39.56 કરોડનું ફ્લાયઓવરનું ટેન્ડર અપાયું હતું. બ્રિજ બન્યો ત્યાં સુધી મનપાએ બિલ્ડરને 83.95 કરોડ ચૂકવ્યા હતા. જો કે બિલ્ડરે હજુ પણ વધારાના રૂા. 7.26 કરોડની માંગ કરી હતી. 39 કરોડનું અંદાજીત ટેન્ડર અપાયુ હતુ જેનું વાસ્તવિક બજેટ 90 કરોડ સુધી પહોંચી ગયુ હતુ.
2015માં ખુલ્લો મુકાયો હતો પુલ
સુરતના દિલ્હી ગેટ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી 2015માં પુરી થઈ ગઈ હતી. રાજકમલ બિલ્ડર્સે આ બ્રિજના ફાઇનલ બિલનું પેમેન્ટ સને-2016માં મેળવી લીધું હતું. અને ડિપોઝીટ પણ પરત લઇ લીધી હતી.
2017-18માં વકીલ મારફતે વધારાની રકમનો ક્લેઈમ કર્યો
2017- 2018માં વકીલ મારફતે પત્ર લખીને રૂા. 7.26 કરોડનો ક્લેઇમ મ્યુનિ.માં રજુ કર્યો હતો. તંત્રએ કાયદાકીય અભિપ્રાય મેળવીને કોન્ટ્રાકટર રાજકમલ રૃબરુ સાંભળ્યા હતા. ત્યારબાદ પૂર્વ કમિશનરે આ માંગણીને નકારી કાઢી હતી અને જણાવ્યુ હતુ કે જો તમને નિર્ણયથી સંતોષ ન હોય તો સ્થાયી સમિતિમાં જાઓ.