વડોદરામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેના કારણે ફરીથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વધારી હોવાના કારણે કાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા અને સાથે જ 1 હજારથી પણ વધારે લોકોને સ્થળાંતરની ફરજ પડી હતી.
હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 27 ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 10 હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધી આજવા ડેમની સપાટી 18 ફૂટ થઈ છે. ઉપરવાસમાં વરસાદ વધવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના દેવ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ડભોઈમાં 6 ગામ સંપર્ક વિહોણા થયા છે. ડભોઈથી વડોદરાનો મુખ્ય માર્ગ બંધ કરાયો છે. રાજલી ક્રોસિંગ માર્ગ પણ બંધ કરાયો હોવાના કારણે લોકોને હાલાકી સર્જાઈ રહી છે.
વિશ્વામિત્રીમાં વધી રહેલી સપાટીને પગલે તંત્ર ચિંતામાં મૂકાયા છે અને સાથે જ એન.ડી.આર.એફ. ફાયરબ્રિગેડ અને વીજકંપનીને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીમાં ઝડપથી વધી રહેલી સપાટીને કારણે આજે સવારે જ સિદ્ધાર્થ બંગ્લોઝ, જલારામનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના નિચાણવાળા વિસ્તારોને સાઈરનની મદદથી એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. સાથે જ અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયું છે અને સાથે તેને આવનજાવન માટે બંધ કરી દેવામાં આવ્યું છે. નિચાણવાળા વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વડોદરા કલેકટરે તમામ અધિકારીઓને રાત્રે હાજર રહેવાનો આદેશ કર્યો છે .જો કે રાહતની વાત તો એ છે કે વરસાદે થોડો વિરામ લીધો છે.
કાંઠા વિસ્તારમાં જે લોકો રહે છે તેમને સાવચેતી રાખવા માટે કલેક્ટરે અપીલ પણ કરી છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સોસાયટીના રહીશોએ સાવચેતીના ભાગરૂપે ઘરનો સામાન સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને પૂરની સ્થિતિને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોના વેપારીઓ પણ એલર્ટ થઇ ગયા છે. વરસાદને પગલે વડોદરા ડેરીમાં આવતા દૂધ અને શાકભાજીના પૂરવઠા પર પણ અસર પડી છે અને સાથે જ ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાંથી શાકભાજીનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ આ સ્થિતિમાં સ્થાનિકો શાકભાજી મોંઘા ભાવે ખરીદવા મજબૂર બન્યા છે.