ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના પ્રવાસ પછીના મુશ્કેલ સમયને યાદ કરતા પોતાની તકલીફ શેર કરી અને કહ્યું કે એ એવો સમય હતો જ્યારે મારા મનમાં બહુ જ નકારાત્મક વિચારો આવતા હતા. કોહલીએ કહ્યું કે મને એવું લગાવા લાગ્યું હતું કે દુનિયાનો અંત આવી ગયો છે. માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે જાહેરમાં વાત કરવા બદલ કોહલીએ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલના વખાણ કર્યા છે. 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કોહલી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.
વિરાટે તેના મુશ્કેલ દિવસોને યાદ કરતા કહ્યું કે, 'દુનિયા છોડી દેવાના' વિચારો સામે ઝઝૂમી રહ્યો હતો પણ ત્યારે એ નહોતી ખબર કે આ બધાંમાંથી બહાર કઈ રીતે આવવું. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બૉલર મેક્સવેલે કેટલીક સમસ્યાઓ થવાને કારણે બ્રેક લેવાનો નિર્ણય કરતાં ચર્ચામાં આવી ગયો છે. ત્યાર પછી કેટલાક ક્રિકેટરોના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ મામલો ચર્ચામાં આવી ગયો હતો. ઈંગ્લેન્ડમાં સ્ટીવ હાર્મિસન, માર્કસ ટ્રેસ્કોથિક અને ગ્રીમ ફાઉલર જેવા ખેલાડીઓ પણ માનસિક અસ્વસ્થતામાંથી પસાર થઈ ચૂક્યા છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પૂર્વસંધ્યાએ કોહલીએ કહ્યું હતું કે 'તમે જાણો છો જ્યારે તમે આંતરરાષ્ટ્રીય મંચ પર પહોંચો છો ત્યારે ટીમના દરેક ખેલાડીને એવા પ્રકારની વાતચીતની જરૂર હોય છે, જે તેમને બોલવા માટે પ્રેરણા આપે. મને લાગે છે કે, ગ્લેને જે કર્યું છે તે નોંધપાત્ર છે. 'મેક્સવેલે વ્યક્તિગત જીવનના તણાવ અને અન્ય સમસ્યાઓ સ્વીકારીને બ્રેક લેવાની જાહેરાત કરી હતી.
2014ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય કેપ્ટન સંપૂર્ણ રીતે ફ્લોપ થઈ ગયો હતો.
કોહલીએ 2014ના ઈંગ્લેન્ડ પ્રવાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'હું મારા કરિયરના એવા તબક્કામાંથી પસાર થયો છું જ્યાં મને લાગ્યું કે આ મારા માટે વિશ્વનો અંત છે. કોઈને શું બોલવું અને શું કરવું તેના વિશે મને કંઈ સમજાતું નહોતું. વિરાટનો ત્યારે ખરાબ સમય ચાલી રહ્યો હતો. પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તે દરમિયાન તેણે 10 ઈનિંગમાં 13.50ની સરેરાશથી માત્ર 134 રન બનાવ્યા હતા. આ સીરીઝમાં તેનો બેસ્ટ સ્કોર 39 રન હતા. જોકે, 2018ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં કોહલીમાં ગજબનો આત્મવિશ્વાસ દેખાયો હતો અને તેનું પ્રદર્શન એકદમ સારું રહ્યું હતું.
કોહલીએ કહ્યું, 'જીવનમાં શું ચાલી રહ્યું છે તેની ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે'
ભારતીય કેપ્ટનને લાગે છે કે વ્યક્તિગત સ્તરે શું ચાલી રહ્યું છે તે સમજવા માટે આ મુદ્દાઓ પર ચર્ચા થવાની જરૂર છે. કોહલીએ કહ્યું, 'તમારા (પત્રકાર) લોકો પાસે કામ કરવા માટે નોકરી છે. અમારી પાસે પણ કામ છે અને દરેક વ્યક્તિ જે કામ કરે છે તેના પર ફોકસ કરે છે. જેથી બીજા વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણવું ખૂબ મુશ્કેલ છે.