ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાંતલપુરના વૌવા ગામે જંગલી શિયાળનો આતંક, ઘર બહાર સૂતેલા મહિલાઓ-વૃદ્ધો સહિત 15થી વધુ લોકોને બચકાં ભર્યા
Last Updated: 01:23 PM, 30 August 2026
ADVERTISEMENT
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે હિંસક વન્યપ્રાણીના આતંકથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનો નિંદ્રાધીન હતા તે દરમિયાન અજાણ્યા વન્યપ્રાણીએ અચાનક લોકો પર હુમલા શરૂ કરી દીધા હતા. ઘરઆંગણે તેમજ રસ્તા પર સૂતેલા લોકો પર થયેલા હુમલામાં 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોમાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષોનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
રાત્રે શરૂ થયેલા હુમલા સવાર સુધી ચાલુ રહ્યા
ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રે આશરે 11થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌપ્રથમ એક વ્યક્તિ પર હુમલો થયો હતો. ત્યારબાદ વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં પ્રાણી ફરી ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક વ્યક્તિના પુત્ર પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈ નાગદાનભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે, પુત્રને બચાવવા માટે તેઓ આગળ વધ્યા હતા. તેમણે પ્રાણીને મુક્કો મારીને પુત્રને છોડાવ્યો હતો. ત્યારબાદ પ્રાણીએ તેમના મોટાભાઈના મોં અને જડબાના ભાગે ગંભીર બચકાં ભર્યા હતા.
ADVERTISEMENT
પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની યાદી
ગીતાબેન જગદીશભાઈ બોરીચા (ઉંમર: 7 વર્ષ)
ADVERTISEMENT
વજાભાઈ લીચાભાઈ આહીર (ઉંમર: 45 વર્ષ)
સાહિલ લક્ષ્મણભાઈ આહીર (ઉંમર: 11 વર્ષ)
ADVERTISEMENT
ગુલાબબેન શંકરજી ઠાકોર (ઉંમર: 55 વર્ષ)
રામાભાઈ કેસાભાઈ ઠાકોર (ઉંમર: 65 વર્ષ)
ADVERTISEMENT
ભચીબેન વાલાભાઈ આહીર (ઉંમર: 55 વર્ષ)
રૈયાબેન આલાભાઈ આહીર (ઉંમર: 45 વર્ષ)
ADVERTISEMENT
સંતોકબેન બાબુભાઈ કોળી (ઉંમર: 35 વર્ષ)
પ્રભુભાઈ વજાભાઈ કોળી (ઉંમર: 25 વર્ષ)
કાંતિભાઈ જીવનભાઈ કોળી (ઉંમર: 20 વર્ષ)
હરદેવપુરી ભગવાનપુરી ગોસ્વામી (ઉંમર: 50 વર્ષ)
રતીબેન મહાદેવભાઈ આહીર (ઉંમર: 65 વર્ષ)
વિપુલભાઈ કમાભાઈ કોળી (ઉંમર: 8 વર્ષ)
નોઘાભાઈ વિહાભાઈ કોળી (ઉંમર: 60 વર્ષ)
લખુબેન સનાભાઈ રબારી (ઉંમર: 40 વર્ષ)
ઠાકોરવાસમાં 6થી 7 લોકોને નિશાન બનાવ્યા
લક્ષ્મણભાઈના જણાવ્યા મુજબ, હુમલા બાદ પ્રાણી ઠાકોરવાસ તરફ ધસી ગયું હતું. ત્યાં તેણે એક પછી એક 6થી 7 લોકો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ રવેચીના મેદાનમાં સૂતેલા લોકો અને બાપજી પર પણ હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. સવાર સુધી ચાલેલા હુમલાને પગલે ગામમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો પોતાના ઘરની બહાર નીકળતાં પણ ભય અનુભવી રહ્યા હતા.
ઈજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખસેડાયા
ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં તબીબોએ ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી છે. કેટલાક લોકોને માથા, ચહેરા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો વૌવા ગામે પહોંચી ગયો હતો. ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પ્રાણીના પગમાર્ક સહિતના પુરાવા એકત્રિત કર્યા છે. સાથે જ હુમલાનો ભોગ બનેલા લોકો અને સ્થાનિક ગ્રામજનોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક RFO રાજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. હુમલો કરનાર પ્રાણીની ચોક્કસ ઓળખ મેળવવા માટે જરૂરી તપાસ ચાલી રહી છે.
ગ્રામજનોને શિયાળ હોવાની આશંકા
હુમલામાં ઘાયલ થયેલા અને સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાનું અનુમાન છે. જોકે, વન વિભાગે હજુ સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. વન વિભાગની ટીમ દ્વારા પગમાર્ક અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલો કરનાર પ્રાણી શિયાળ હતું કે અન્ય કોઈ વન્યપ્રાણી, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થશે.
આ પણ વાંચોઃ નારગોલમાં દારૂબંધી હળવી કરવાની માગ, ખુદ સરપંચે નિયંત્રિત મંજૂરી સાથે છૂટ આપવા CMને રજૂઆત કરી
ગામમાં ભયનો માહોલ, પ્રાણીને પાંજરે પૂરવાની કવાયત
એક જ રાત્રિમાં મોટી સંખ્યામાં લોકો પર હુમલો થતાં વૌવા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે. હાલ વન વિભાગ દ્વારા પ્રાણીની ઓળખ કરી તેને શોધી કાઢવા તેમજ શક્ય તેટલી વહેલી તકે પાંજરે પૂરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.