મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ગઇકાલે સુપ્રીમના ફ્લોર ટેસ્ટના ચુકાદા બાદ ઉદ્ધવ ઠાકરેએ CM પદેથી રાજીનામું.
સોશિયલ મીડિયાના માધ્યમ થકી રાજીનામું આપનાર ઉદ્ધવ ઠાકરે દેશના બીજા મુખ્યમંત્રી
સુપ્રીમના ફ્લોર ટેસ્ટના ચુકાદા બાદ ગઇકાલે FB પર રાજીનામાની કરી હતી જાહેરાત
અગાઉ આનંદીબેને 1 ઓગસ્ટ 2016ના રોજ સોશિ. મીડિયા દ્વારા CM પદેથી આપ્યું હતું રાજીનામું
ઉદ્ધવ ઠાકરેના CM પદેથી રાજીનામાને લઇને એક વિશેષ બાબત એ છે કે, સોશિયલ મીડિયા (facebook) ના માધ્યમ થકી CM પદેથી રાજીનામું આપનાર ઉદ્ધવ ઠાકરે દેશના બીજા મુખ્યમંત્રી બન્યા છે. આ અગાઉ 1 ઓગસ્ટ 2016ના રોજ આનંદીબેન પટેલે પણ ગુજરાતના CM પદેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી રાજીનામું આપ્યું હતું.
આનંદીબેન પટેલ હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે
તમને જણાવી દઇએ કે, આનંદીબેન પટેલ કે જેઓ હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 વર્ષ સુધી ગુજરાતની ગાદી સંભાળી હતી. ત્યારથી આનંદીબેન પટેલ મોદીની કેબિનેટનો હિસ્સો હતા. આનંદીબેન પટેલ કે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય હતા અને ગુજરાત સરકારમાં મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આનંદીબેન પટેલ 1998માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને એ જ વર્ષે તેઓ મોદી કેબિનેટનો ભાગ બન્યા હતા. વ્યવસાયે શાળા શિક્ષિકા આનંદીબેન પટેલ નોકરી છોડીને 1985માં ભાજપમાં જોડાયા હતા.
આનંદીબેન 2007થી 2014 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યાં હતાં
તેઓએ 1998થી 2007 સુધી ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે, શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે સેવા આપી હતી અને બાદમાં તેઓ 2007થી 2014 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યાં હતાં.
બાદમાં 2016માં 1 ઓગસ્ટના રોજ એકાએક આનંદીબેન પટેલે ફેસબુક પર 'મને મુખ્યમંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરો' એવી પોસ્ટ મૂકતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, ત્યાર બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં તેઓનું રાજીનામું સ્વીકારી લેવાયું હતું.
FB લાઇવ દ્વારા ઉદ્ધવ ઠાકરેએ CM પદ છોડવાની કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનો માર્ગ મોકળો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઇવ કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને છોડવાની ઓફિશિયલ જાહેરાત કરી હતી. તેઓએ વિધાન પરિષદમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી. આથી આજે તેઓએ વિધાનસભા પરિષદનું સભ્યપદ પણ છોડી દીધું છે.
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ કરવાના આદેશ આપ્યા હતા
મહત્વનું છે કે, ઉદ્ધવ ઠાકરેએ ગઇકાલે ફેસબુક લાઇવમાં પોતાનો ત્યાગપત્ર આપી દીધો છે. તેઓએ કહ્યું હતું કે, 'તેમને મુખ્યમંત્રીની ખુરશી જવાનો કોઈ ડર નથી. હું મુખ્યમંત્રી પદ છોડી રહ્યો છું.' સુપ્રીમ કોર્ટથી મળેલા ઝટકા બાદ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે ફેસબુક લાઇવ દ્વારા જનતાને સંબોધિત કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ કરવાના આદેશ આપ્યા હતા.
તમને જણાવી દઇએ કે, ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં બળવાખોર એકનાથ શિંદે પર પ્રહાર કર્યા હતા. ઠાકરેએ કહ્યું હતું કે, અમે જે રીક્ષાવાળા, ચા વાળાઓને નેતા-ધારાસભ્ય બનાવ્યા, તેમણે જ અમને દગો આપ્યો. અમે તેમને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ તેઓ પરત ન ફર્યા.
અમારે કંઇ નથી જોતું, માત્ર આશીર્વાદ જોઈએ: ઉદ્ધવ ઠાકરે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 'અમે ખેડૂતોની દેવામાફીના કામને પૂર્ણ કર્યું. અમે ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરી દીધું છે. અમે ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરી દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમારે કંઇ નથી જોતું, માત્ર આશીર્વાદ જોઈએ. મુખ્યમંત્રી પદ છોડવાનું અમને કોઈ દુઃખ નથી. સ્થિતિને યોગ્ય કરવા માટે અનેક પ્રકારના પગલા ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ મંત્રીમંડળથી બહાર જવા માટે પણ તૈયાર હતી.' ઉદ્ધવના અનુસાર તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે અંતે કઇ વાતથી બળવાખોર ધારાસભ્યો નારાજ હતા.
લોકોને સંબોધિત કરતા ઉદ્ધવે જણાવ્યું હતું કે, 'અમારા કાર્યકર્તાઓએ મહેનત કરી, અમે સંભવ હોય તે બધુ એમને આપ્યું, હું રાજ્યપાલનો આભાર માનું છું કે તેમણે પત્ર મળ્યા પછી તરત નિર્ણય લીધો, જે અમારા હતા તે અમારાથી દૂર થઇ ગયા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમને દગો દેવાના છે તેવું લાગતું હતું તે સાથે રહ્યા હતા. મેં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ કહ્યું અમે પદ છોડવા માટે તૈયાર છીએ.'