બાળકોને મનપસંદ ચિપ્સ, કુરકુરે કે અન્ય કલરફુલ પેકેટમાં આપવામાં આવતા ફ્રી રમકડાં થોડા સમયમાં મળતા બંધ થઇ જશે. તેના પર પ્રતિબંધ મુકવાની માંગણી ઘણા સમયથી ચાલતી હતી. તાજેતરમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવી પ્રોડક્ટના વેચાણને અટકાવવા પગલા લેવાની ભલામણ કરી છે. ખાદ્યસુરક્ષા વિભાગને તેના અમલ પર નજર રાખવાની અંતિમ જવાબદારી સોંપાઇ છે.
ખાદ્યપદાર્થો સાથે આપવામાં આવતા રમકડાં અનસેફ હોય છે. બે વર્ષ પહેલા આવી જ એક પ્રોડક્ટની અંદર મુકવામાં આવેલા ટોયને અજાણતા ગળી જતા આંધ્રપ્રદેશના બાળકનું મૃત્યુ થયુ હતુ. બાળકોને લલચાવતા આકર્ષક રમકડાં બનાવતી ડઝનબંધ કંપનીઓ પણ હવે સરકારની ચાંપતી નજરથી બચી શકશે નહીં. માર્કેટમાં નવાં ટોય્ઝને લોન્ચ કરતા પહેલા કંપનીઓએ સેફ્ટી નોર્મ્સને ફોલો કરવા પડશે.
આ રમકડાં હાનિકારક કેમ છે?
માર્કેટમાં મળતા મોટાભાગના રમકડામાં થેલેટ્સ અને ડયોક્સનિ જેવા હાનિકારક પદાર્થ પણ ભેળવવામાં આવે છે. રમકડાંની બનાવટમાં કેટલાક કેમિકલ ભેળવવામાં રિસર્ચ કહે છે કે હાનિકારક પદાર્થ ભેળવીને બનાવવામાં આવેલા રમકડાંથી વહેલી પ્યુબર્ટી, અસ્થમા અને બિહેવિયર ડિસઓર્ડર જેવા જોખમ રહેલા છે. કંપનીઓ ટોયના બહાને બાળકોનેજંકફુડ માટે પ્રેરે છે. ટોય માર્કેટિંગ ગિમિક છે. તેની પર રોક લાગતો કાયદો અમલમાં આવે તે જરુરી છે. સંતાનની હેલ્થ માટ પણ પેરેન્ટ્સે આ બાબત ધ્યાને લેવાની જરુર છે.
યુકેની કંપનીએ રમકડાં પાછા ખેંચ્યા હતા
થોડા સમય પહેલા રમકડાંના ઉત્પાદન માટેના સેફ્ટી નોર્મ્સ ફોલો ન કરવાને કારણે યુકેની એક જાણીતી બ્રાન્ડે માર્કેટમાંથી બે ટીથર ટોય્ઝ પાછા ખેંચવાની ફરજ પડી હતી. આ બંને રમકડાંમાં બોરોન નામના રસાયણની અધિક માત્રા હોવાનું જાણવા મળ્યુ હતુ. આ સામે સરકારે લાલ આંખ કરતા કંપનીએ તાત્કાલિક રમકડાં પાછા ખેંચ્યા હતા.
આ ઝુંબેશ શરુ કેવી રીતે થઇ
ઉત્તરાખંડના આરટીઆઇ કાર્યકર્તા અજયકુમારે બે વર્ષ પહેલા આ ઝુંબેશ શરુ કરી હતી. તેમણે ખાદ્યપદાર્થના પેકેટ સાથે આપવામાં આવતા રમકડાંને અનસેફ જાહેર કરવા સરકાર સમક્ષ માગણી કરી હતી. આંધ્રપ્રદેશના બે વર્ષના બાળકના મૃત્યુ બાદ આ ઝુંબેશે વેગ પકડ્યો હતો. આ મુદ્દાને લઇને અજયકુમારે પીએમઓને પત્ર લખ્યો હતો અને સંબંધિત વિભાગ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.