મુંબઈ: આઇપીએલમાં નવી ટીમો જોડવા માટે 2021ની સિઝન સુધી રાહ જોવી પડી શકે છે, પરંતુ 2020ની સિઝનમાં આઇપીએલમાં ત્રણ નવાં શહેરોને સામેલ કરાય તેવી શક્યતા છે. આઠ ફ્રેંચાઇઝીઓના માલિકોએ બીસીસીઆઇના મુખ્યાલયમાં બોર્ડના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને જે ત્રણ નવાં શહેર લખનૌ, ગુવાહાટી અને તિરુવનંતપુર સામેલ થઈ શકે તે છે.
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, ''કિંગ્સ ઈલેવન પંજાબ લખનૌને પોતાનું બીજું હોમગ્રાઉન્ડ બનાવી શકે છે, જ્યારે રાજસ્થાન અમદાવાદ અથવા ગુવાહાટી જવા ઇચ્છે છે. તિરુવનંતપુર કોના ભાગમાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. રાજસ્થાને બીજા હોમગ્રાઉન્ડના રૂપમાં સ્થળમાં ફેરફાર કરવાની માગણી કરી છે અને તે અમદાવાદ અને ગુવાહાટી જવા ઇચ્છે છે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલ આ નિર્ણય સાથે સંમત છે.''
આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ''જ્યાં સુધી લખનૌની વાત છે, પંજાબ ગત સિઝનથી જ મેચના સ્થળમાં ફેરફાર કરાય એવું ઇચ્છતી હતી. તેણે આ અંગે દરખાસ્ત પણ રજૂ કરી હતી, પરંતુ ચૂંટણીના કારણે એ દરખાસ્ત અંગે કોઈ નિર્ણય લેવાઈ શક્યો નહોતો. ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને વિન્ડીઝની મેચ બાદ સ્ટેડિયમને લઈને જે અભિપ્રાયો આવ્યા છે તેના પરથી એટલું તો નક્કી છે કે પંજાબ પોતાનું બીજું ઘર લખનૌમાં જ બનાવશે.''
રાજસ્થાનના મેચ સ્થળમાં ફેરફાર કરવાની અપીલ અંગે અધિકારીએ કહ્યું કે નફામાં હિસ્સેદારીને લઈ મામલો ગૂંચવાયો હતો. રાજસ્થાનને લાગતું હતું કે તેમની પાસેથી વધુ નફો માગવામાં આવી રહ્યો છે. એવા પણ અહેવાલો છે કે મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ ઉપરાંત રાજસ્થાન પણ ઇચ્છે છે કે આઇપીએલ ટીમો આંતરરાષ્ટ્રીય ટીમો સામે મૈત્રી મેચ રમે.