ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સુરતના પ્રવાસે..ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વિરોધી પાર્ટીઓ પર તાક્યુ નિશાન
સી.આર.પાટીલ સુરતના પ્રવાસે
વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ પ્રવાસ
ગુજરાતની જનતાને મફતનું ખપતુ નથી: પાટીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારી શરૂ કરી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતનો પ્રવાસ કરવાના છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે સુરત જિલ્લાની મુલાકાતે છે. કડોદરા આકડા મુખી હનુમાન મંદિર ખાતે વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓએ ખાસ હાજરી આપી હતી.
ગુજરાતની જનતાને મફતનું ખપતુ નથી- સી.આર. પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનો પ્રવાસ પણ વધી રહ્યો છે. આજે તેઓ રેલી સ્વરુપે વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતા સી.આર પાટીલે કેજરીવાલ પર નિશાન તાક્યુ હતું. કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઇને જણાવ્યું કે ગુજરાતની જનતાને મફતનું ખપતુ નથી. ગુજરાતને મફતની લાલચ આપવાથી ફાયદો નહી થાય.
મોદીજીના અશ્વમેઘને રોકવાની કોઈની તાકાત નથીઃ પાટીલ
તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જણાવ્યું કે અમે 2022ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. મોદીજીના અશ્વમેઘને રોકવાની કોઇની તાકાત નથી.ભાજપનો કાર્યકર ભાજપની હાકલ પડે અને નીકળી પડે છે. ગુજરાત ભાજપે કાર્યકરોને 3 દિવસનું વેકેશન આપ્યું છે પરંતુ કોઈ કાર્યકર રજા ઉપર ન હતો.ચૂંટણીએ સમયે રજા પાડે એ ભાજપના કાર્યકરને લોહીમાં નથી.
સુરત પ્રવાસ દરમિયાન 2 સંમેલનનું આયોજન
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રણનીતિ નક્કી કરવા માટે ભાજપે કમર કસી છે. વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ સી.આર.પાટીલે સુરતના કાર્યકરો અને સંગઠન સાથે મુલાકાત કરશે. બપોર બાદ બારડોલી ખાતે સંમેલનમાં પણ હાજરી આપશે. આ ઉપરાંત સી.આર.પાટીલ પ્રવાસ દરમિયાન પદાધિકારીઓ, ધારાસભ્યો, વકીલો અને શિક્ષકો સાથે મુલાકાત કરશે. ઉપરાંત RSSના સ્થાનિક સભ્યો સાથે બેઠક કરશે. જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા થવાની સંભાવના છે.