બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / 67 વર્ષ પહેલા ભારતમાં થઈ હતી 'ભૂતની હત્યા'! છતાંય, આરોપી સાવ નિર્દોષ છૂટ્યો, ફિલ્મી ટ્વિસ્ટ જેવો ક્રાઈમ કેસ
Last Updated: 08:00 AM, 18 May 2025
1958નો સમયગાળો
ઓડિશાનો બાલાસોર જિલ્લો
અને રસગોવિંદપૂર નામનું ગામ
ADVERTISEMENT
અહીં પણ ગામની એક જગ્યામાં ભૂત થતું હોવાની વાતો હતી. જેમ દરેક ગામમાં એક ઝાડ હોય, કૂવો હોય કે અવાવરૂં જગ્યામાં ભૂત થતું હોવાની વાતો હોય, એવી વાયકા અહીં પણ હતી. રસગોવિંદપૂર ગામથી થોડે દૂર એક એરોડ્રામ હતું, જેનો એક સમયે ડિફેન્સના અધિકારીઓ ઉપયોગ કરતા હતા. જગ્યા એટલી વેરાન કે ધોળે દહાડે પણ પસાર થતા ભલભલા ધ્રૂજી જાય. મૂછોને તાવ દેનારા પણ જો ત્યાંથી નીકળે તો તેમના મોતિયાં મરી જતા. ગામના મોટેરાઓ કહેતા કે અહીં માથા વગરનો ખવિસ ફરતો નજરે પડે છે, કોઇ સફેદ કપડાંમાં ચૂડેલ ફરતી નજરે પડે છે, જેવી અંધશ્રદ્ધા સાથે જોડાયેલી વાતો આ ચાર જણને આ જગ્યા સુધી લઇ જવા મજબૂર કરે છે. જો કે, આ ભૂત આજ સુધી કોઈએ જોયું નહોતું. પણ, વાતોને લીધે મોટાભાગના લોકો રાત્રે આ જગ્યાએ જવાનું ટાળતા.

ADVERTISEMENT
કલકત્તાના એક વેપારી જગતબંધુ ચેટર્જીની નજર આ જગ્યા પર હતી. તેનો ઈરાદો આ એરોડ્રામ ખરીદવાનો હતો, પણ વાત પૂરી નહોતી થતી. એટલે પોતાના નેપાળી નોકર રામબહાદુર થાપા સાથે ચેટર્જી અહીં જ રોકાઈ ગયો હતો. દિવસો જતા હતા, કોઈ નિવેડો આવતો નહોતો. 20 મે, 1958ના દિવસે જગતબંધુ ચેટર્જી ચાની કિટલી પર પોતાના નોકર થાપા સાથે બેસીને ગપાટા મારતા હતા. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું. ચારે તરફ સન્નાટો હતો. દૂર દૂર શિયાળની લાળિયો સંભળાતી હતી. ચંદ્રનો ઝાંખો ઝાંખો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. આવામાં જ અચાનક ગામનો ચંદ્ર માંઝી નામનો યુવક હાંફતો હાંફતો ચાની કિટલી પર આવી ગયો. જાણે મોત જોઈ લીધું હોય, એમ તેના ચહેરા પર ડર દેખાતો હતો. ચેટર્જીએ તેને પૂછ્યું કે ભાઈ થયું શું? પણ ચંદ્ર માંઝી એટલો ડરેલો કે ગળામાંથી એક શબ્દ નહોતો નીકળતો. આખરે થોડું સાન આવતા ચંદ્રએ કહ્યું,'હું ઘરે જતો હતો, પણ રસ્તામાં ભૂત જોયું.'
ADVERTISEMENT
ભૂતની વાત સાંભળતા જ જગતબંધુ ચેટર્જીના કાન ઉભા થઈ ગયા. ચેટર્જી અને થાપા તો એટલા ઉત્સાહમાં આવી ગયા, જાણે ભૂત નહીં કોઈ સેલિબ્રિટી આવ્યા હોય. બંને જણ તરત જ ઉભા થઈ ગયા, ચંદ્રને કહ્યું,'ચાલ, અમને ભૂત દેખાડ.' એક બાજુ ચંદ્ર માંઝી આખેઆખો ધ્રૂજતો હતો, બીજી તરફ ચેટર્જી અને થાપાએ કહ્યું, ચાલ તને અમે ઘરે મૂકી જઈએ, તું જરાય ચિંતા ન કર. તેમણે સાથે કૃષ્ણચંદ્ર નામના ચોથા વ્યક્તિન સાથે લીધો. એકના હાથમાં ટોર્ચ, એકના હાથમાં લાકડી, એકના હાથમાં તાવીજ તો એકના હાથમાં હતી ખુકરી. અને ચહેરા તો પરસેવે રેબઝેબ, જાણે પહાડો પર પાણીના ટીપાં ના બાઝ્યાં હોય એવાં. કારણ કે રસ્તો એવો સૂમસામ કે જાણે હમણાં જ પડાછાયા રૂપી આત્મા આવીને એમનો કોળિયો કરી જશે. છતાંય ચારેય હિંમત તો શ્રીફળ જેવી દેખાડતા. ભલે ઉપરથી છાતી કાઢીને ફરતા, પરંતુ અંદરથી મુલાયમ ટોપરાંની જેમ ડર સતાવતો કે ન કરે નારાયણ, અને જો ભૂતથી ઝપેટે આવી ચડ્યાં તો ગયા કામથી. છતાંય હિંમતભેર આગળ વધતા ગયા, વધતા ગયા અને આવી ગઇ એ જગ્યા. જેની જાત-જાતની વાયકાઓ વહેતી થયેલી.
ADVERTISEMENT
જેવા એરોડ્રામ પર પહોંચ્યા કે આંખો ચાર થઈ ગઈ. ચારેકોર અંધારાની વચ્ચે એક સફેદ ઓળો ચળકતો દેખાતો હતો. ચારેયના મોઢામાંથી અવાજ ન નીકળે તેવી પરિસ્થિતિ હતી. બધાની વચ્ચે ચેટર્જીએ એકદમ ધીમા અવાજે માંડ ચારેયને સંભળાય એમ કહ્યું,'સસસસ, ચૂપ, એકદમ ચૂપ. સામે જુઓ, કોઇ દેખાઇ રહ્યું છે.' બાકીના ત્રણની નજર પણ આ સફેદ ઓળા પર પડી. ચારેય વિચારતા હતા કે આ એ જ ભૂત હશે, જેના વિશે આખા ગામમાં વાતો ચાલી રહી છે. હજી ચારેય જણા દૂરથી આ જ ઓળાને જોઈ રહ્યા છે, ત્યાં જ અચાનક રામબહાદુર થાપાએ પોતાની ખુકરી લઈને દોડ મૂકી. જેવો પેલા સફેદ ઓળા નજીક પહોંચ્યો કે જબરજસ્ત તાકાતથી ખૂકરી ઓળા પર ચલાવી દીધી. જાણે ભૂતને પતાવી જ દેવાનું હોય એવું ભૂત રામબહાદુર થાપા પર સવાર હતું. રામ બહાદુરે એક બાદ એક ખુકરીના પ્રહાર ચાલુ રાખ્યા. સાવ શાંત વાતાવરણ વચ્ચે અચાનક એક મહિલાની ચીસો સંભળાઈ અને દૂર ઉભા રહેલા ચેટર્જી, ચંદ્ર માંઝી અને કૃષ્ણચંદ્ર જાણે અચાનક આ ચીસ સાંભળીને ભાનમાં આવ્યા.

ADVERTISEMENT
થાપા પાસે પહોંચીને જોયું તો ત્રણ મહિલાઓ લોહીના ખાબોચિયામાં પડેલી હતી. થાપાએ ભૂત સમજીને જેને ખૂકરી મારી હતી, એ તો જીવતી જાગતી ત્રણ મહિલાઓ હતી. કૃષ્ણચંદ્રે પૂછ્યું કે થાપા તે આ શું કર્યું. તો ભાન ભૂલેલા થાપાએ કૃષ્ણચંદ્ર પર પણ ખૂકરી ચલાવી દીધી. આખરે ચેટર્જીએ ત્રણેય ઘાયલ મહિલાઓને પૂછ્યું કે તમે છો કોણ અને અહીં શું કરો છો? મહિલાઓએ કહ્યું કે તેઓ બાજુના ગામમાં રહે છે અને મહુડાના ફૂલ પાડવા આવી હતી. પણ થાપાએ તેમને ભૂત સમજીને તેમના પર હુમલો કરી દીધો. આખરે ચારેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલ પહોંચતા એક મહિલાનું મૃત્યુ થયું. વાત પોલીસ સુધી પહોંચી અને રામ બહાદુર થાપાની ધરપકડ થઈ. આરોપ હતો હત્યાનો.
ADVERTISEMENT
જો કે, આશ્ચર્યજનક વાત એ છે કે, રામબહાદુર થાપાને આ કેસમાં એક દિવસની પણ જેલની સજા ન થઈ. કોર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો. જ્યારે કોર્ટમાં દલીલો થઈ, ત્યારે રામ બહાદુર થાપા થાપા થાપાના વકીલ તરફથી એવું કહેવાય છે કે,'રામ બહાદુર થાપા નિર્દોષ છે, કારણ કે તેને જાણી જોઇને હત્યા નહોતી કરી, ભૂલથી ભૂત સમજીને મહિલા પર હુમલો કરેલો. જેમાં મહિલાનું મોત નીપજ્યું. નહીં કે જાણી-જોઇને મહિલા પર હુમલો કર્યો.' જોકે સામાપક્ષે પણ દલીલ મજબૂત કરાતી, કહેવાયું કે, 'માન્યું કે, રામ બહાદુર થાપા થાપા થાપાએ જાણી જોઇને હુમલો નથી કર્યો પરંતુ તેની બેકરકારી તો ખરી ને! જેથી તેને કડકમાં કડક સજા થવી જોઇએ.' આમ કરતા-કરતા દિવસો ખેંચાતા ગયા-ખેંચાતા ગયા, અને અંતે કોર્ટે રામ બહાદુર થાપાને IPC કલમ 79ના આધારે નિર્દોષ છોડી મૂક્યો. કારણ કે, IPC કલમ 79 મુજબ જો કોઇ વ્યક્તિ વગર તથ્યે કોઇની હત્યા કરે છે તો તેને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. જે કેસ ઓળખાયો 'રામ બહાદુર થાપા કેસ' તરીકે. આ રામ બહાદુર થાપા કેસ જે તે સમયે ખૂબ ચર્યાયો હતો. આજેય લૉના વિદ્યાર્થીઓને તેનો દાખલો અપાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.