બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / રૂપાલની પલ્લીનું છે વિશેષ મહત્વ: જ્યાં નોમની રાત્રે ગામમાં વહે છે ઘીની નદીઓ, પાછળનો ઇતિહાસ છે રોચક
Last Updated: 06:11 AM, 12 October 2024
રાજ્યના પાટનગર ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામનો મહિમા અનોખો છે. જ્યાં આસો સુદ નોમની રાત્રે રૂપાલ ગામના તમામ રસ્તાઓ ઘી ની નદીઓ સમાન બની જાય છે. આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી ભરાય છે. જેમાં પાંચ લાખથી વધુ લોકો દર્શનનો લ્હાવો લેય છે. લોક માન્યતા પ્રમાણે વરદાયીની માતાજીની પલ્લી છેલ્લા 5000 વર્ષથી ભરાય છે. ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતરે રૂપાલ ગામ આવેલું છે. જ્યાં શ્રી વરદાયિની માતાજી બિરાજમાન છે. વરદાયિની માતાજીના મંદિરનું નિર્માણ અનેક વખત થયુ છે. માતાજી સુષ્ટિના નિર્માણથી બિરાજમાન છે. આધ્યશક્તિ માં નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસવાહીની સ્વરુપે સ્વયં બિરાજમાન છે.
ADVERTISEMENT

લોકવાયકા છે કે આશરે 5000 વર્ષોથી ખીજડાનું ઝાડ લીલું છે
ADVERTISEMENT
સુષ્ટિના પ્રારંભે દુર્મદ નામના અતિ બળવાન ભયંકર રાક્ષસના ત્રાસથી બ્રહ્માજી વરદાયીની માતાજીના પુત્રરુપે તેમના શરણે ગયા હતા. માતાજીએ તેમને પુત્રરુપે સ્તનપાન કરાવી સાંત્વના આપી હતી. અજેય દૈત્ય દુર્મદ સાથે દારુણ યુદ્ધ કરી તેનો સંહાર કરી માનસરોવરનું નિર્માણ કરી તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયી વરદાયીની માતાજીયે અહિં જ નિવાસ કર્યો હતો. વર્ષોથી રુપાલની રક્ષા કરતી મા વરદાયિની માતાજીના મંદિરે વર્ષોથી નિયમિત દર્શને આવતા ભાવિકોને માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. પાંડવ કાળની વાત કરવામા આવે તો જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે. લોકવાયકા છે કે આશરે 5000 વર્ષોથી આ ખીજડાનું ઝાડ લીલું છે. અને ખીજડાના આ વૃક્ષની નીચે અજુન અને દ્રૌપદીનું નાનું મંદિર આવેલું છે.

ADVERTISEMENT
વરદાયિની માતાજીનું સમગ્ર મંદિર સુવર્ણથી બનાવાયું છે
ગુજરાતના સુવર્ણ કાળ કહેવાતા સોલંકી યુગની દંતકથા પણ પલ્લી સાથે જોડાયેલી છે. કળીયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા, એમણે તેઓ યશોવાર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાસ કર્યો. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો, તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર પાસે હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નીંદ્રાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્ન દર્શન આપી કહ્યુ, સવારે ઉઠી છાણાનો કિલ્લો બનાવી, તેમાં અડદના લોટનું શત્રુનું પુતળુ બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે. આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તું માળવા પર ચઢાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યાશોવર્માનો વધ થયો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ આવી નવેસરથી મંદિર બનાવી, માતાજીની મુર્તિ બનાવી તેની પ્રતિષ્ઠા કરી. સિદ્ધરાજ જયસિંહેને માતાજીએ દર્શન આપ્યા હોઈ તે વડેચી તરીકે પણ ઓળખાય છે. વરદાયિની માતાજીનું સમગ્ર મંદિર સુવર્ણથી બનાવાયું છે. જેમાં માતાજીના વિવિધ સ્વરૂપના દર્શન થાય છે. મંદિરના મઢમાં માતાજીનું સુવર્ણ સિંહાસન બનાવવામાં આવ્યું છે. જેમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર મંદિર સોનાથી મઢવામાં આવ્યું છે. અહી આવતા ભક્તો મા ના આ સ્વરૂપના દર્શન કરી ધન્ય થાય છે. મા ના એક માત્ર દર્શનથી ભક્તો મંત્રમુગ્ધ થાય છે. મંદિરમાં લગાવવામાં આવેલું વિશાળ ઝુમ્મર લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરની વિશેષ કોતરણી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મંદિરમાં ચેત્ર નવરાત્રી, આસો નવરાત્રી અને પુનમના દિવસે મેળો ભરાય છે. અહીં દુરદુરથી ભક્તો મા ના દર્શને આવી દર્શન કરી ઘન્યતા અનુભવે છે. વરદાયિની માતાજી મંદિરના વિશાળ પ્રાંગણમાં બીજા ત્રણ મંદિર આવેલા છે. જેમાં ખોડીયારમાં, હનુમાનજી અને ગણેશજી બિરાજમાન છે. અહિં ભક્તોને મા ખોડીયારના અલૌકિક સ્વરૂપના દર્શન થાય છે. મંદિરના દરેક સ્તંભમાં વિશેષ નક્શી કામ કરવામાં આવ્યું છે. અહીં આવતા તમામ ભક્તો એક સાથે અનેક દેવીદેવતા અને મંદિરના પ્રાંગણમાં આવેલા વિશાળ પીપળાના દર્શન કરી ઘન્ય થાય છે. માતાજીના મંદિરે દરરોજ માનવ મહેરામણ ઉમટી પડે છે ઘણા ભાવિકો માતાજીના દર્શને દૂરદૂરથી પગપાળા પણ આવે છે
ADVERTISEMENT

પારણા બંધાવાની અતૂટ માન્યતા
ADVERTISEMENT
કે જે નિ સંતાન દંપતિ વરદાયીના માતાજીને ઘી ની બાધા રાખે છે. તેમના ઘરે અચૂક પારણા બંધાવાની અતૂટ માન્યતા છે. અને જે દંપતિને સંતાન પ્રાપ્તિ થાય છે તે દંપતિ તેમના બાળકને અહીં લાવી માતાજીના અચૂક દર્શન કરાવે છે. ભક્તોની શ્રદ્ધાની વાત કરવામાં આવે તો પલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જ્વાળા સુધી લઇ જઈ તેને દર્શન કરાવવામાં આવે છે. રૂપાલ ગામમાં કોઈપણ દીકરો જન્મે તેની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે. ત્યાર બાદ આ બાળકની ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં જન્મેલા દીકરાને પલ્લી જ્યોતના દર્શન ન કરાવવામા આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી. માટે નાના ભૂલકાઓને પલ્લીની જ્વાળા ઉપરથી ફેરવી તેને પલ્લીના દર્શન કરાવવામાં આવે છે. આસો સુદની નોમની રાતે 12 વાગ્યે પલ્લીની શરૂઆત કરવામાં આવે છે. અને માતાજી દર્શન આપવા માટે નીકળે છે. હજારો કિલો ઘી નો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવે છે. તમામ ગલીઓમાં ઘી ની ખાસ ટ્રોલી રાખવામાં આવે છે, પલ્લીમાં ઘી નાખવાના નિયમથી વહેલી સવાર થતા જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ ઘી ની નદીઓ બની જાય છે. રૂપાલ ગામના ૨૭ ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતના બે આશ્ચર્યજનક મંદિર, નિર્માણનું બાંધકામ ન જોવાની શરત, છતાં એક જેવા બન્યા

મંદિરમાં માતાજી હાજરા હજુર હોવાની ભકતોને અનુભૂતી થાય છે
પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. તે પહેલા જ નાના ભૂલકાઓને રથની નજીક લાવવામાં આવે છે અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકો બાળકોને જ્યોત ઉપરથી ફેરવીને તેના માતા-પિતાને પરત આપે છે. રૂપાલ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય ત્યાર બાદ સવા મહિના બાદ દીકરાના પરિવારના કોઈપણ સભ્ય ઉપવાસ કરે છે. તે ઉપરાંત આ બાળકોનો પરિવાર જે ચોકમાં રહેતો હોય તેજ ચોકમાં પલ્લીની જ્વાળાના દર્શન કરવવા પડે છે. આસો માસની નવરાત્રીમાં ગ્રામજનો નકોડો ઉપવાસ કરે છે અને વરદાયિની માતાજીની પલ્લીના દર્શન કર્યા બાદ જ તે ઉપવાસ છોડે છે ગાંધીનગર, અમદાવાદ, આસપાસના જિલ્લાઓ અને દેશ વિદેશથી ભાવિકો પલ્લીના દર્શન કરવા માટે આવે છે. સામાન્ય રીતે ઘી કપડા પર પડે તો તેના ડાઘ પડે છે. પણ વરદાયીની માતાજીને અર્પણ કરવામાં આવેલુ ઘી લોકોના કપડા પર પડે તો પણ ઘી નો ડાઘ પડતો નથી. લોકોની આસ્થા છે કે આ માતાજીનો જ પ્રતાપ છે. શ્રી વરદાયિની માતાજી દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર નવરાત્રીના તહેવારમાં મંદિરે માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષોથી વરદાયિની માતાજીના દર્શને આવતા ભાવિકોની શ્રી વરદાયિની માતાજી પર અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે વરદાયિની માતાજી દર્શન કરવાનુ ચૂકતા નથી. ભાવિકોને આસ્થા છે કે માતાજી તેમના દરેક દુઃખ દૂર કરે છે અને તેમની માનતા પણ પૂર્ણ કરે છે. મંદિરમાં માતાજી હાજરા હજુર હોવાની દરેક ભકતોને અનુભૂતી થાય છે. અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.