બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારીમાં રસ્તા બંધ, નર્મદા ડેમમાં પાણીની આવક વધી
Last Updated: 10:40 AM, 2 July 2026
રાજ્યમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં અલગ-અલગ સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી છે. સામાન્ય વરસાદમાં જ મીઠીલા નગરી વિસ્તારના મુખ્ય માર્ગ પર રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ મનપાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને GUDC હેઠળ કરવામાં આવેલા ડ્રેનેજના કામની ગુણવત્તા પર સ્થાનિકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. રસ્તા પર ભુવો પડવાની શરૂઆત થતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય રસ્તા પર અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક સમારકામ કરીને લોકોને સુરક્ષિત અવરજવર મળી રહે તેવી માંગ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીજી તરફ નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પંચાયત હસ્તકના કુલ 6 રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે. બંધ થયેલા તમામ રસ્તાઓ નવસારી તાલુકામાં આવેલા છે. સરોણા-સદલપુર રોડનો કોઝવે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત ખડસુપા-ઉન રોડ પર આવેલા સ્લેબ ડ્રેનેજ, પારડી-સદલાવ રોડના કોઝવે તેમજ સુપા-પેરા-કુચેદ રોડના સ્લેબ ડ્રેનેજ પર પણ પાણી ઓવરટોપિંગ થતાં રસ્તાઓ બંધ કરાયા છે. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વલસાડ જિલ્લામાં પણ વરસાદની હેલી યથાવત રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડમાં કુલ 3.24 ઇંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર, પારડી, કપરાડા અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે.
ADVERTISEMENT
સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પર અસર પડી છે અને કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગીર સોમનાથના ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાવણીલાયક વરસાદ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાવેતર કરાયેલા પાકને પણ જીવનદાન મળ્યું છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે. કેશોદ તાલુકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. સાર્વત્રિક વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી પણ રાહત મળી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ભારે વરસાદથી ફ્લાઇટ સેવાઓ પર મોટી અસર, આવતી-જતી 6 ફ્લાઇટ રદ
નર્મદા જિલ્લામાં પણ સારા સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલમાં ઉપરવાસમાંથી 39,315 ક્યુસેક પાણી ડેમમાં આવી રહ્યું છે, જેના કારણે ડેમની જળસપાટી વધીને 126.17 મીટર પર પહોંચી છે. પાણીની આવક વધતાં CHPHના તમામ પાવર હાઉસ શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે વીજ ઉત્પાદન પણ વધ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેતા આગામી દિવસોમાં ડેમમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.