ભારતીય ટીમ પોતાની આગામી મેચો ઝિમ્બાબ્વે સામે રમશે. અને તે માટેની તૈયારીઓ થઇ ચુકી છે ત્યારે તારીખ 18મી ઓગસ્ટથી ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમશે. કેએલ રાહુલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમની નજર ત્યાં સતત પાંચમી શ્રેણી જીત પર રહેશે. આ પ્રવાસ માટે અગાઉ રાહુલની પસંદગી કરવામાં આવી ન હતી. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ તેને ટીમમાં લેવામાં આવ્યો હતો અને શિખર ધવનની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અગાઉ ધવનને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
1997 બાદ ભારત એક પણ શ્રેણી હાર્યું નથી
ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ત્યાં 1992માં પહેલી વખત એક મેચની સિરીઝ રમી હતી. તેણે મેચ જીતી લીધી હતી. પાંચ વર્ષ બાદ ભારતે ઝિમ્બાબ્વેમાં પહેલી વખત શ્રેણી ગુમાવી હતી. યજમાન ટીમે બે મેચની શ્રેણી 1-0 થી જીતી લીધી હતી. 1997ની શ્રેણી બાદ ભારત ઝિમ્બાબ્વેમાં એક પણ શ્રેણી હાર્યું નથી. આ દરમિયાન તેણે યજમાન ટીમને ચાર વખત હરાવી છે.