સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુઓના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ હિન્દુ દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સનાતન ધર્મના લોકો, સંતો અને કથાકાર દ્વારા નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે.
સ્વામીનારાયણના સંતો દ્વારા આપત્તિજનક ટિપ્પણીનો મામલો
સ્વામી. સંપ્રદાયના સાધુઓને વ્યાસપીઠ પરથી રમેશ ઓઝાએ કર્યો અનુરોધ
મહાદેવ અંગે ટિપ્પણીથી ખુબ જ દુ:ખી છું : રમેશ ઓઝા
હિંદુ ધર્મમાં સાધુ, સંત અને સંન્યાસી આ ત્રણેયને સમાજ સર્વોચ્ચ માન અને સન્માન આપે છે. પરંતુ આજ ધર્મના સાધુ સંત અને સમુદાયના લોકો જો ધર્મ અને ભગવાનનું અપમાન કરે તો સમાજનો ચહેરો શરમથી જુકી જાય છે. આ સમાજ એટલે હિંદુ ધર્મના કહેવાતા સંપ્રદાય, કહેવાતા સાધુઓ અને કહેવાતા સંતો છે. કેટલાક ધર્મમાં ક્યાક વાદ-વિવાદ છે, તો ક્યાંક આકરા સંવાદથી ચર્ચાઓ છે. હિંદુ સંપ્રદાયના સોખડા હરિધામના સ્વામી આનંદસાગરે શિવજી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ છેડ્યો છે. સાધુ-સંત સમાજમાં આકરી ટીકાઓ અને ટિપ્પણી બાદ સ્વામીએ માફી માગવી પડી અને શિવભક્તોના રોષનો ભોગ બનવું પડ્યુ.
મહાદેવ અંગે ટિપ્પણીથી ખુબ જ દુ:ખી છું : રમેશ ઓઝા
સ્વામી નારાયણ સંપ્રદાયના સંતોના સનાતન દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા અન્ય કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે આ નિવદનોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા છેલ્લા કેટલાક દિવસથી લોકો ગુસ્સે ભરાયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદ સાગર સ્વામીનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે. કથાકાર રમેશ ઓઝાએ વ્યાસપીઠ પરથી આ અંગે નિવેદન આપ્યું છે.
આનંદ સાગર સ્વામીની ટિપ્પણી અંગે વિરોધ કરવા સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓને રમેશ ઓઝાએ અનુરોધ કર્યો છે. રમેશ ઓઝાએ કહ્યું કે, મહાદેવની ટિપ્પણીથી ખૂબ જ વ્યથિત થયો છું. આનંદ સાગર સ્વામીની ટિપ્પણી અંગે વિરોધ કરો. હું પ્રાર્થના કરું છું, પ્રણામ કરું છું, અનુરોધ કરું છું. તમે સૌ સંપ્રદાયના સંતો તેમનો વિરોધ કરો. કેટલાકે વિરોધ કર્યો તેને હું વંદન કરું છું. આવું બોલાઇ રહ્યું છે તેનું કારણ છે કે, કેટલાક ચોપડા ચીતરાયા છે આવા, કૃપા કરીને આવા ચોપડાને કાઢો, તે ખોટા ચીતરાઇ ગયા છે.
ગઢડા સનાતન ધર્મ દ્વારા ત્રણ સંતો વિરુદ્ધ ફરિયાદ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાયરલ થયેલા અપમાનજક વીડિયોને લઇ આજે ગઢડામાં ફરિયાદ નોંધવામાં આવી છે. મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકોએ એકઠા થઇને કૃષ્ણ વલ્લભ સ્વામી, ઋગનાથ ચરણદાસ સ્વામી અને આનંદસાગર સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાવવા સાથે ત્રણેય સંતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે કાર્યવાહી નહીં થવા પર સનાતન ધર્મના લોકોએ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રાક્ષસ રૂપી સંતોને કાઢી મૂકી તેમના સામે પગલાં લેવા જોઈએઃ સંત સમાજ
ડાકોરના સંત સમાજમાં પણ ભગવાન શિવજી અંગે ટિપ્પણીને લઈ રોષ જોવા મળ્યો હતો. યાત્રાધામ ડાકોરના સંતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શિવજીના અપમાન કરનાર સામે પગલાં લેવા માગ કરાઈ હતી. સંતોએ કહ્યું કે, રાક્ષસ રૂપી સંતોને કાઢી મૂકી તેમના સામે પગલાં લેવા જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવી ટિપ્પણી બંધ કરે.
વિદેશમાં જાતા પહેલા ભારતની સંસ્કૃતિને જાણોઃ નિઝાનંદ સ્વામી
સ્વામિનારાયણના સંતો પર નિજાનંદ સ્વામી ગુસ્સે થયા હતા. તેમણે સ્વામિ.ના સંતોને અજ્ઞાની બાવાઓ સાથે સરખાવ્યાં હતા. ઉત્તર ગુજરાતના જાણીતા સંત નિજાનંદ સ્વામીએ કહ્યું હતું કે, વિદેશમાં જાતા પહેલા ભારતની સંસ્કૃતિને જાણો. આવા સંતો દેશમાં વાતાવરણનું ડહોળે છે.
હવે સવાલ એ છે કે સસ્તી પ્રસિદ્ધી માટે કહેવાતા સાધુ-સંતો કેમ શિવજીનું અપમાન કરે છે? આવા સાધુઓનો બહિષ્કાર કેમ ના થઈ શકે? કેમ છીછરી માનસિકતા ધરાવતા સાધુઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે?