વર્ષ 2022 માં રક્ષાબંધન કયા દિવસે ઉજવવામાં આવશે તે અંગે બે મત છે. ચાલો જાણીએ ભાઈને રાખડી બાંધવા માટે કયો સમય સૌથી વધુ શુભ રહેશે.
11 કે 12 કઈ તારીખે છે રક્ષાબંધન?
જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
શ્રાવણ મહિનાની પૂનમે આવે છે રક્ષાબંધન
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમા તિથિની શરૂઆત અને અંતના સમયને કારણે, રક્ષાબંધન 11 ઓગસ્ટ 2022 કે 12 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવી તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે.
હકીકતે 11મી ઓગસ્ટની તારીખથી પૂર્ણિમાનો પ્રારંભ થશે, પરંતુ આ દરમિયાન ખૂબ જ અશુભ માનવામાં આવતો ભદ્રાનો સમયગાળો રહેશે. આ કારણથી આ દિવસે રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી.
ભદ્રા કાળમાં શરૂ થશે પૂર્ણિમા તિથિ
11મી ઓગસ્ટ 2022ના રોજ ગુરુવારે સવારે 10:38 વાગ્યાથી પૂર્ણિમાનો પ્રારંભ થશે અને બીજા દિવસે 12મી ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. પરંતુ પૂર્ણિમા તિથિ સાથે ભદ્રાનો સમયગાળો પણ શરૂ થશે અને તે 11 ઓગસ્ટની રાત્રે 08:51 મિનિટ સુધી રહેશે. આવી સ્થિતિમાં જે બહેનો 11મી ઓગસ્ટે રાત્રે 08:51 વાગ્યા પછી રાખડી બાંધવા માગે છે, તેઓ રાખડી બાંધી શકશે.
આ તારીખે બાંધો રાખડી
ત્યાં જ ઘણા લોકો આ કારણોસર 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવી રહ્યા છે. 12મી ઓગસ્ટના રોજ સવારે 05:52 કલાકે સૂર્યોદય થવાની સાથે જ રક્ષાબંધનનો શુભ સમય શરૂ થશે અને તે લગભગ 3 કલાક સુધી ચાલશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિ અને શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને 12મી ઓગસ્ટની સવારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે તો સારું રહેશે.
12 ઓગસ્ટને શુક્રવારે ધાતા અને સૌભાગ્ય યોગ પણ બની રહ્યો છે. તેથી આવા શુભ યોગમાં ઉજવાતા ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર બંનેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય લઈને આવે છે.
આ કારણે ભદ્ર કાળમાં ન બાંધી રાખડી
ભદ્ર કાળમાં રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આટલું જ નહીં ભદ્રા કાળમાં કોઈપણ શુભ કાર્ય ક્યારેય ન કરવું જોઈએ. આમ કરવાથી કરેલું કામ પણ બગડે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ભદ્રકાળમાં લંકાપતિ રાવણની બહેન દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને બાદમાં તેનો સર્વનાથ થઈ ગયો હતો. તેથી ભદ્રા કાળમાં રાખડી બાંધવાનું ટાળવું જોઈએ.