પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, ગુજરાતમાં પડી રહેલા વ્યાપક અને ભારે વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ. તમામ જરૂરી મદદની આપી ખાતરી
ગુજરાતમાં વરસાદથી હાલ બેહાલ
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત
જરૂરી તમામ મદદની આપી ખાતરી
ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો જળબંબાકારની સ્થિતિ છે તો કેટલાક વિસ્તારોમાં દરિયાઈ પાણી ઘૂસી આવ્યાના પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે. અમદાવાદની વાત કરવામાં આવે તો રવિવારે પડેલા વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં કેડ અને ઢીંચણા સમાણા પાણી ભરાયા હતા ત્યારે વિકટ સ્થિતિનો તાગ મેળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટૅલિફોનિક વાતચીત કરી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવીને વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી.
CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી.
પ્રધાનમંત્રીએ જરૂરી તમામ મદદની આપી ખાતરી
પ્રધાનમંત્રીએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી ખૂદ રાખી રહ્યા છે સમગ્ર સ્થિતિ પર નજર, કોઈ ચિંતા કરવાની જરૂર નથી : મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
અમદાવાદમાં તેમજ સમગ્ર રાજ્ય (Gujarat) માં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મહેસૂલ મંત્રી ગાંધીનગરના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓએ વરસાદની સ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'વરસાદને લઇને અમદાવાદની જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તમને જણાવી દઉં કે જ્યારે અનરાધાર વરસાદ પડે ત્યારે કોઇ પણ શહેર હોય એ પાણી-પાણી થઇ જાય. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ. તકલીફ તો પડે, વરસાદ ન હોય તોય તકલીફ પડે અને વરસાદ પડે તોય તકલીફ પડે અને વધારે વરસાદ પડે ત્યારે ઘણીવાર વધારે તકલીફ પડતી હોય છે. પરંતુ તંત્રની ફરજ છે કે તંત્ર સજાગ છે કેમ. પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે CM સાહેબે પોતે બધાને સૂચના આપી છે.'
ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યના અનેક ભાગમાં 10થી 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો વળી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 5થી 10 ઇંચ સુધી વરસાદ પદે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આજે સાંજ સુધીમાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ સુધીમાં વલસાડ, નવસારી, નર્મદા, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો તા.12 અને 13 જૂલાઇએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે.
ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે
રાજ્યમાં હાલ ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે છે. આ સાથે ભારે વરસાદથી નદી-નાળામાં ભારે પુર આવવાની પણ સંભાવના છે. જેને લઈ સંબંધિત કલેક્ટરોએ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
ગત રોજ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને લઈને આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જ્યાં વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેને લઈને મધુબન ડેમમાં 1 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમના 8 દરવાજા 2.50 મીટર ખોલી દેવામાં આવ્યા છે. આ ડેમમાંથી દમણગંગા નદીમાં 71 હજાર 950 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરાંત કલેક્ટરે નદી કિનારે વસતા લોકોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.
વલસાડમાં ભારે વરસાદને જોતા શાળાઓ બંધ
વલસાડમાં ભારે વરસાદની આગાહીને પલગે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે તમામ શાળામાં રજા આપવા શિક્ષણ વિભાગને આદેશ આપ્યો છે. સાથે જ રજાની જાણ અંગે વાલીઓને સૂચના આપવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
ઔરંગા નદીના પાણી બજાર અને ઘરોમાં ઘુસ્યા
વલસાડમાં ભારે વરસાદ બાદ સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. જ્યાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઔરંગા નદીનું પાણી દાણા બજાર વિસ્તારમાં ઘૂસી ગયું હતું. જેને લઈને અનાજના વેપારીઓેને મોટુ નુકસાન થયું છે. દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટુ નુકસાન થયું છે. મોટી માત્રામાં અનાજ બગડ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાણી ઘરો અને ખેતરોમાં ફરી વળ્યા છે.
છોટાઉદેપુરમાં વરસાદે સર્જી તારાજી
છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે આવતીકાલથી આગામી આદેશ ન મળે ત્યાં સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તરફ છોટા ઉદેપુરના બોડેલી, નસવાડી, ક્વાંટ અને ડભોઇમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે.
જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી હોવાથી આવતી કાલથી અત્રેના જીલ્લાની શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. વહીવટી તંત્ર તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુઘી સદરહુ આદેશનું પાલન કરવાનું રહેશે.@PMOIndia@CMOGuj@pkumarias@EduMinOfGujarat@BureaucratsInd
— Collector Chhotaudepur (@collectorcu) July 10, 2022
બોડેલીના વર્ધમાનનગરમાં પાણી ભરાયા
બોડેલીના વર્ધમાનનગરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વર્ધમાન નગરમાં લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો પોતાના મકાનની સફાઇ કામ કરવા લાગ્યા હતા. વિગતો મુજબ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ પણ પાણીમાં તણાયા હતા.
છોટાઉદેપુરમાં 20 ઇંચથી વધુ વરસાદ
છોટાઉદેપુરમાં 20 ઇંચથી વધુ વરસાદ આવતા બોડેલીમાં વર્ધમાનનગર,રાજનગરમાં પાણી ફરી વળ્યા છે. આ સાથે દીવાન ફળિયા વિસ્તાર બેટમાં ફેરવાયો તો વર્ધમાનનગરના અનેક મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યુ હોવાનું સામે આવ્યું છે. આ સાથે ગોલાગામડી સર્કલ પર હજી પાણી યથાવત છે. જેને લઈ ઘુટણસમા પાણીમાં વાહનચાલકો અવરજવર કરવા મજબૂર બન્યા છે.
બોડેલીથી છોટાઉદેપુરને જોડતા મુખ્ય હાઇવે પર પાણી
છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે ગોલાગામડીથી સંખેડા, ભાદલપુર સુધી જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે હાલાકી સર્જાઇ છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગોલાગામડી સર્કલ પર હજી પાણી યથાવત છે. આ તરફ બોડેલીના રાજાનગર વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરી પલળી જતાં પરેશાની ઉભી થઈ હતી.
ડભોઈથી છોટાઉદેપુરના રોડ ઉપર ખેતરો પાણીમાં ગરકાવ
ડભોઈથી છોટાઉદેપુરના રોડ ઉપરના ખેતરમાં પાણી ભરાયુ હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈ કપાસ, મકાઈના ઉભા પાક પર પાણી ફરી વળતાં ખેતરો ધોવાઈ ગયા હતા. આ સાથે નસવાડી અને ક્વાંટ વચ્ચે આવેલુ મોટુ કોતર બે કાંઠે હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાખા ગામ નજીક આવેલા કોતરમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે.