દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે ફરી એક વખત દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ 8 વાગ્યે પોતાનું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 3 અઠવાડિયા સુધી એટલે કે આજે મોડી રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી દેશમાં લૉકડાઉન રહેશે તેવી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ અગાઉ 19 માર્ચે પ્રધાનમંત્રીએ દેશને સંબોધિત કર્યો હતો અને જનતા કર્ફ્યૂનું એલાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ વાતની માહિતી ટ્વિટર પર આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફરી દેશને સંબોધન
કોરોના વાયરસ અંગે કરી વાત
21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન: PM મોદી
પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાતઃ 3 અઠવાડીયા સુધી દેશમાં લૉકડાઉન
પીએમ મોદીએ કહ્યું કે આજે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન લાગશે. આ લૉકડાઉન 21 દિવસનો રહેશે. એટલે કે 14 એપ્રિલ સુધી લૉકડાઉન રહેશે. આ લૉકડાઉન એક પ્રકારે કર્ફ્યૂ જ છે. તમે ભુલ જાઓ કે બહાર નીકળવાનું શું હોય છે. એક એક નાગરિકના જીવનને બચાવવું આપણું કર્તવ્ય છે, જે લોકો સારવારમાં અને સેવામાં છે તેમનું વિચારો.
21 દિવસ મહત્વપૂર્ણઃ PM મોદી
કોરોના સંકટ મામલે PM મોદીએ કહ્યું, આવનારા 21 દિવસ આપણા માટે મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય બહુ જ મહત્વનો છે. જો 21 દિવસ આપણે સાવચેતી ન રાખી તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે, લાખો પરિવારો બરબાદ થઈ જશે.
કોરોનાથી લડવા માટે 15 હજાર કરોડ રૂપિયા આપવાનું એલાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વનો નિર્ણય લેતા કોરોનાથી લડવા માટે 15 હજાર કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પૈસાથી કોરોનાથી બચવા માટે જરૂરી સાધનો ખરીદવામાં આવશે, સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. આ સિવાય ડૉક્ટર, નર્સ અને બીજા પૈરામેડિકલ સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે અને આના પર પૈસા ખર્ચ કરવામાં આવશે.
કોરોનાઃ કોઈ રોડ પર ના નિકળે
પીએમ મોદીએ કહ્યું કે, મારો દેશવાસીઓને આગ્રહ છે કે આ 21 દિવસની અંદર કોઈ રોડ પર બહાર ન નીકળે. તેમણે એક પોસ્ટર પણ બતાવ્યું હતું. જેમાં લખ્યું હતું. કોરોનાઃ કોઈ રોડ પર ના નિકળે.
પોતાની જાત સાથે કોઇપણ પ્રકારનો પ્રયોગ ન કરો
પીએમ મોદીએ કહ્યું કે, મારી આપ સૌને પ્રાર્થના છે કે આ બીમારીના લક્ષણો દરમિયાન ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા ન લો. કોઈ પણ પ્રકારનો પ્રયોગ, પોતાના જીવનને વધુ જોખમમાં નાખી શકે છે.
ઘરમાં રહો, ઘરમાં રહો અને એક જ કામ કરો કે પોતાના ઘરમાં જ રહો
ઘરમાં રહો, ઘરમાં રહો અને એક જ કામ કરો કે પોતાના ઘરમાં જ રહો. મિત્રો, આજના નિર્ણયથી દેશવ્યાપી લૉકડાઉને પોતાના ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. તમારે યાદ રાખવાનું છે કે કેટલીક વખત કોરોનાથી સંક્રમિત વ્યક્તિ શરૂઆતમાં બિલકુલ સ્વસ્થ લાગે છે, તે સંક્રમિત છે તેની ખબર નહીં પડે. એટલા માટે સાવચેત રહો, પોતાના ઘરમાં રહો.
ત્રણ લાખ લોકો સુધી આ બીમારી પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા: PM મોદી
વિચારો, પહેલા એક લાખ લોકો સંક્રમિત થવામાં 67 દિવસ લાગ્યા અને પછી આને 2 લાખ લોકો સુધી પહોંચવામાં માત્ર 11 દિવસ લાગ્યા. આ હજુ વધુ ડરામણું છે કે બે લાખ લોકો સંક્રમિત લોકોથી ત્રણ લાખ લોકો સુધી આ બીમારી પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા.
21 દિવસનું લૉકડાઉનએ લાંબો સમય છે, પરંતુ મહત્વપૂર્ણ છે
મને વિશ્વાસ છે કે દરેક ભારતીય સંકટના સમયમાં સરકારના, સ્થાનિક તંત્રના આદેશનું પાલન કરશે. 21 દિવસનું લૉકડાઉન, લાંબો સમય છે, પંરતુ પોતાના જીવનની રક્ષા માટે, પોતાના પરિવારની રક્ષા માટે, એટલું જ મહત્વપૂર્ણ છે.
અફવા-અંધવિશ્વાસથી બચો
પીએમએ કહ્યું કે, એ પણ ધ્યાન રાખો કે આવા સમયમાં જાણતા અજાણતા કેટલીક વખત અફવાઓ પણ ફેલાય છે. મારો તમને આગ્રહ છે કે કોઇપણ પ્રકારની અફવા અને અંધવિશ્વાસથી બચો.
રાજ્ય સરકારોને પ્રાથમિકતા માત્રને માત્ર સ્વાસ્થ્ય સેવાઓ
મેં રાજ્ય સરકારોને અપીલ કરી છે કે આ સમય તેમની પ્રથમ પ્રાથમિકતા, માત્ર અને માત્ર સ્વાસ્થ્ય સેવાઓ જ હોવી જોઇએ, હેલ્થ કેર જ પ્રાથમિકતા હોવી જોઇએ.
કોરોનાના સંક્રમણની સાયકલ તોડવી પડશેઃ PM મોદી
કોરોનાથી બચવા કોઈ રસ્તો નથી. કોરોનાને ફેલાતો અટકાવવાનો છે, તો આના સંક્રમણની સાયકલને તોડવી જ પડશે
જનતા કર્ફ્યૂને દેશવાસીઓએ સફળ બનાવ્યો
22 માર્ચે જનતા કર્ફ્યૂને જે સંકલ્પ આપણે લીધો હતો, એક રાષ્ટ્રના નાતે તેની સિદ્ધી માટે દરેક ભારતવાસીએ સમગ્ર સંવેદનશીલતાની સાથે, સમગ્ર જવાબદારીની સાથે પોતાનું યોગદાન આપ્યું છે. દેશવાસી ધન્યવાદને પાત્ર છે.
દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 500ને પાર પહોંચી ચૂકી છે અને અત્યાર સુધીમાં 10 મોત થઇ ચૂક્યા છે. તેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લૉકડાઉનનું એલાન કર્યું હતું, કેટલાક રાજ્યોમાં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે.
वैश्विक महामारी कोरोना वायरस के बढ़ते प्रकोप के संबंध में कुछ महत्वपूर्ण बातें देशवासियों के साथ साझा करूंगा। आज, 24 मार्च रात 8 बजे देश को संबोधित करूंगा।
Will address the nation at 8 PM today, 24th March 2020, on vital aspects relating to the menace of COVID-19.
દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર ગુજરાત સહિત દેશના કુલ 30 રાજ્યોને સંપૂર્ણ રીતે લૉકડાઉન કરવામાં આવ્યા છે. આ સિવાય ઉલ્લંઘન કરનારા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને કહેવામાં આવી રહ્યું છે કે લોકો ઘરની બહાર ન નિકળે.