બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:44 AM, 15 August 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને નમન કર્યું.લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ 13મી વખત તિરંગો ફરકાવ્યો. તેમણે દેશના વિકાસ, આત્મનિર્ભરતા, AI, ઊર્જા, નક્સલવાદ અને 2047 સુધી વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. સાથે જ આગામી સમય માટે અનેક મોટા લક્ષ્યાંકો પણ રજૂ કર્યા.
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત પાસે સ્થિર સરકાર, મજબૂત બંધારણ અને ન્યાય વ્યવસ્થા છે. ભારતના ઉત્પાદનો હવે દુનિયાના અનેક બજારો સુધી પહોંચી રહ્યા છે. દવાઓ, ટેક્સટાઇલ અને મશીનરી સહિત અનેક ભારતીય ઉત્પાદનો વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે.તેમણે કહ્યું કે કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન કેટલાક લોકો ભારતને લઈને ડર ફેલાવી રહ્યા હતા. ડીઝલ, ગેસ, ખાતર અને વેક્સિનની અછતને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે ભારતે પડકારો વચ્ચે પોતાની ક્ષમતા બતાવી છે અને છેલ્લા 12 વર્ષના પ્રયાસોના પરિણામ હવે જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ દેશના યુવાનો માટે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભારતને ટેક્નોલોજી અને ઈનોવેશનનું હબ બનાવવું જરૂરી છે. આજનો સમય ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે.આ માટે દેશના એક કરોડ યુવાનોને AIની ટ્રેનિંગ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ ટેક્નોલોજી અને ઈનોવેશનને વિકાસની સાત મુખ્ય શક્તિઓમાંથી એક ગણાવી. યુવાનોને નવી ટેક્નોલોજી સાથે જોડીને ભારતની ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો સરકારનો પ્રયાસ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પીએમ મોદીએ નક્સલવાદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે નક્સલવાદ દેશ સામે મોટી સમસ્યા હતો. 2014માં સરકાર બન્યા બાદ નક્સલવાદના સંકટને ખતમ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.તેમણે દાવો કર્યો કે ભારત હવે નક્સલવાદથી મુક્ત થઈ ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની સુરક્ષા મજબૂત કરવા અને નક્સલવાદને ખતમ કરવા માટે લાંબા સમયથી પ્રયાસ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ દેશની એનર્જી સિક્યુરિટી પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો પર ઝડપથી કામ કરવાની જરૂર છે. ઊર્જાનો યોગ્ય ઉપયોગ અને ઊર્જા સુરક્ષા દેશના ભવિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે.તેમણે જણાવ્યું કે 2014 પહેલાં માત્ર 70 શહેરોમાં પાઇપ દ્વારા ગેસની સુવિધા હતી. છેલ્લા 12 વર્ષમાં આ સંખ્યા વધીને 700 શહેરો થઈ છે. અગાઉ માત્ર 20થી 22 લાખ ઘરોમાં પાઇપ ગેસ પહોંચતો હતો જ્યારે હવે લગભગ 1.75 કરોડ ઘરો સુધી પાઇપ ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત પર ખાસ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારત હવે બીજા દેશો પર નિર્ભર રહીને આગળ વધવા માંગતું નથી. દુનિયામાં ઘણી વસ્તુઓ સસ્તી અને ઝડપથી મળી શકે છે પરંતુ તેનાથી દેશની પોતાની ક્ષમતા વિકસતી નથી.તેમણે કહ્યું કે દેશે પોતાની ક્ષમતાઓ વધારવી પડશે અને પોતાના હિતોની સુરક્ષા પોતે કરવી પડશે. સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ડિફેન્સ અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ Gen Z માટે PM મોદીનું મોટું એલાન, જાણો લાલ કિલ્લાની પ્રાચીર પરથી શું જાહેરાત કરી?
પીએમ મોદીએ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ ફરી વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત વિકસિત દેશ બનીને રહેશે.આ લક્ષ્ય 140 કરોડ દેશવાસીઓની મહેનતથી પૂર્ણ કરવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ જ્યારે વિકસિત બનવાનો સંકલ્પ લે છે ત્યારે તે ભારતના આત્મવિશ્વાસ અને સામર્થ્યને દર્શાવે છે. ભારતની ક્ષમતાને કારણે દુનિયાનું ભારત તરફ જોવાનું વલણ પણ બદલાઈ રહ્યું છે.
પીએમ મોદીએ સોલર એનર્જી અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની પણ વાત કરી. તેમણે કહ્યું કે 2014 પહેલાં દેશમાં સોલર એનર્જીની ક્ષમતા ખૂબ ઓછી હતી. આજે તે વધીને 160 ગીગાવોટ થઈ ગઈ છે.પીએમ સૂર્ય ઘર યોજનાથી 50 લાખ ઘરો સુધી સોલર એનર્જી પહોંચી છે. તેના કારણે અનેક પરિવારોનું વીજળીનું બિલ શૂન્ય થયું છે. કેટલાક પરિવારો પોતાની જરૂરિયાત કરતાં વધુ વીજળી બનાવીને તેને વેચી રહ્યા છે અને તેના દ્વારા કમાણી પણ કરી રહ્યા છે.
પીએમ મોદીએ રેલવેના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશમાં રેલવેનું ઈલેક્ટ્રિફિકેશન ઝડપથી કરવામાં આવ્યું છે. વીજળીથી ટ્રેનો ચાલવાથી ઈંધણની બચત સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે.તેમણે દેશમાં હાઇડ્રોજન ટ્રેનની શરૂઆતનો પણ ઉલ્લેખ કર્યો. રેલવેને આધુનિક બનાવવા માટે ઈલેક્ટ્રિફિકેશન અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે દેશના પરિવહન ક્ષેત્રને વધુ આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો પ્રયાસ છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે નાના સપનાઓ સાથે આગળ વધનાર દેશ નથી. મોટા સપના દેશની વિચારસરણીને નવી દિશા આપે છે અને મોટા સંકલ્પો દેશની ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.તેમણે કહ્યું કે કોરોના સંકટ અને વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારતની પ્રગતિ અટકી નથી. છેલ્લા 12 વર્ષમાં સરકારની અનેક યોજનાઓના પરિણામ હવે સામે આવી રહ્યા છે. ભારતે પડકારો વચ્ચે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
પીએમ મોદીએ ભારતના વિકાસ માટે સાત મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂક્યો જેને તેમણે વિકાસની ‘સપ્તધારા’ તરીકે રજૂ કર્યા. તેમાં મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ટેક્નોલોજી અને ઈનોવેશન, ગતિશક્તિ, રક્ષા શક્તિ, ગ્રીન અને બ્લૂ ઈકોનોમી તથા ભારતની સોફ્ટ પાવરનો સમાવેશ થાય છે.આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો લક્ષ્યાંક છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારતે હવે મોટા લક્ષ્યાંકો સાથે આગળ વધવાનું છે અને 2047 સુધી વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.