આગામી જાન્યુઆરી 2020થી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT)અંગે બચત ખાતાધારકો માટે મોટા રાહતના સમાચાર છે. બેન્ક ખાતાધારકો પાસેથી કોઈ જ ચાર્જ વસૂલ કરવામા આવશે નહીં. ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી RBI દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
RBIએ લીધો NEFT ચાર્જિસ ખતમ કરવાનો નિર્ણય
NEFT પર જાન્યુઆરીથી કોઈ ચાર્જ નહીં લાગે
ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા RBIએ કરી જાહેરાત
RBIએ તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ફાસ્ટેગથી લિન્ક કરવાની મંજૂરી પણ આપી છે. ફાસ્ટેગનો ઉપયોગ હવે પાર્કિંગ ચાર્જિસની ચૂકવણી કરવા તથા પેટ્રોલ પંપ પર પણ કરવામાં આવી શકે છે. RBIએ જણાવ્યું હતું કે ઓક્ટોબર, 2018થી સપ્ટેમ્બર, 2019 સુધી નોન કેશ રિટેલ પેમેન્ટમાં ડિજીટલ પેમેન્ટની 96 ટકા હિસ્સેદારી રહી છે. આ સમયગાળા દરમિયાન રૂપિયા 252 કરોડના મૂલ્યના NEFT અને 874 કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા.
RBIએ જૂનમાં નાણાં નીતિની સમીક્ષાના સમયે NEFT ચાર્જિસ ખતમ કરવાનો નિર્ણય પણ લીધો હતો, પરંતુ આ અનિવાર્ય રીતે લાગુ કરવાની તારીખ નક્કી નથી. બેન્ક NEFT વ્યવહારના મૂલ્યને આધારે 1 રૂપિયાથી રૂપિયા 25 સુધી ચાર્જિસ વસૂલ કરે છે.
ICICI સહિત કેટલીક બેન્ક ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ એપથી NEFT પર ચાર્જિસ વસૂલ કરતી નથી, ફક્ત શાખાથી ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગે છે. SBI એ પણ જુલાઈમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ તથા યોનો મારફતે NEFT ચાર્જિસ ખતમ કર્યા હતા, પરંતુ હવે જાન્યુઆરીથી તમામ ચાર્જિસ રદ કરવામાં આવશે